અમરસિંહ ભીલાભાઈ ચૌધરી ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી હતા. અમરસિંહ ચૌધરીને આજે પણ લોકો યાદ કરે છે. ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં અમરસિંહ ચૌધરીનું ફેક્ટર વર્તમાન સમયમાં પણ સક્રીય છે. ઓલ્ડ સુરત જિલ્લા અને હાલના તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ડોલવણ ગામમાં રહેતા આદિવાસી કુટુંબમાં 31 જુલાઇ 1941માં અમરસિંહ ચૌધરીનો જન્મ થયો હતો.અમરસિંહ ચૌધરી સાથે ગુજરાતના રાજકારણનો એક આખો દાયકો જોડાયેલો છે. 2004માં તેમનુ નિધન થયું ત્યાં સુધી અમરસિંહ ચૌધરીએ ગુજરાતના રાજકારણની અનેક ચડતી-પડતી જોઈ હતી.
1985માં માધવ સિંહ સોલંકીને ચાલુ વિધાનસભા સત્ર છોડીને દિલ્હી એટલે આવું પડ્યું હતું કેમકે ગુજરાતમાં સતત ચાલી રહેલા સાંપ્રદાયિક તોફાનોની સ્થિતિ જાણવા અને સરકારની ભૂલો જોવા માટે પંદર દિવસ પહેલાં રાજીવ ગાંધી દ્વારા કોંગ્રેસના સિનિયર નેતા જી.કે. મુપનારના નેતૃત્વમાં પાંચ નેતાની ઓબ્ઝર્વર કમિટી મોકલવામાં આવી હતી. આ કમિટીએ બહુમતિથી માધવસિંહને સીએમ પદેથી દુર કરવાની ભલામણ કોંગ્રેસ હાઈકમાન્ડને કરી હતી.
એક બાજુ કમિટીનો નિર્ણય આવ્યા પછી માધવસિંહ સોલંકીએ દિલ્હીમાં ધામા નાંખ્યા હતા. બીજી બાજુ એજ દિવસે 4 જુલાઇ 1985ના રોજ સાંજે પાંચ વાગ્યે કોંગ્રેસ ઉપાધ્યક્ષના આદેશથી બે ઓઝર્વર સંતોષ મોહન દેવ અને અમરજીત કૌર દિલ્હીથી અમદાવાદ આવવા માટે ફ્લાઇટમાં બેસી ગયા હતા. રાત્રે આઠ વાગ્યાની આસપાસ આ બંને નેતાઓ અમદાવાદની એક હોટેલમાં પહોંચી ગયા. જોકે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હીથી આવેલા નેતાઓ વિષેની જાણ 5 જુલાઇ 1985ના રોજ એટલે કે બીજા દિવસે થઇ જયારે બજેટ સત્ર ચાલતું હોવા છતાં ગુજરાત કોંગ્રેસના એક એક નેતાઓ ને હોટેલ માં બોલાવી ને માધવસિંહ વિષે પૂછવામાં આવ્યું. 92 ધારાસભ્યોનો મત દિલ્હીથી આવેલા બે કોંગ્રેસી નેતા સંતોષ મોહન દેવ અને અમરજીત કૌરે જાણી લીધો હતો.
પણ સૌથી વધારે સમય આ બંને નેતાઓને માધવસિંહની વિરુદ્ધ બંડ પોકારનાર ત્રણ નેતાઓને સાંભળવામાં ગયો આ નેતાઓ હતા ઝીણાભાઈ દરજી, સનત મહેતા અને મનોહર સિંહ જાડેજા.આ ત્રણે નેતાઓ માધવસિંહના 1980થી 1985ના કાર્યકાળમાં પણ ખુબ વિરોધ કર્યો હતો, 1985ની ચૂંટણીમાં પણ આ ત્રણે નેતાઓએ માધવસિંહનો ખુલીને વિરોધ કર્યો હતો પણ ત્યારે દિલ્હી હાઇકમાન્ડે સખ્તાઈથી નેતાઓના વિરોધ ડામી દીધો અને માધવસિંહ સાથે ઉભા રહેવાની સલાહ આપતા ત્રણેય નેતાઓ શાંત પડી ગયા અને એવા સમયની રાહ જોતા હતા કે ફરથી માધવસિંહને ઘેરી શકાય. 5 જુલાઇ 1985ના રોજ દિલ્હીથી આવેલા બે નેતાઓને જોઈ આ ત્રણે અસંતુષ્ટ નેતાઓને લાગ્યું કે હવે ફરી એ સમય આવી ગયો છે.
એક બાજુ ગુજરાતમાં કોંગ્રેસી ઓબ્ઝર્વરની હાજરીથી ગુજરાત કોંગ્રેસના નેતાઓ ને લાગી રહ્યું હતું કે હવે માધવસિંહની વિદાય લગભગ નક્કી છે ત્યારે બીજી બાજુ માધવસિંહ દિલ્હીમાં પોતાની સોગઠી ગોઠવી રહ્યા હતા. જ્યારે માધવસિંહને લાગ્યું કે દિલ્હી હાઈકમાન્ડે મન બનાવી લીધું છે એટલે રાજીવગાંધી અને વી.પી.સિંહને મળ્યા પછી પોતાનું રાજીનામુ આપી દીધું એટલે એજ દિવસે સાંજે દિલ્હી એરપોર્ટથી બીજું એક વિમાન ઉડ્યું જેમાં માધવ સિંહ સોલંકી,વી.પી.સિંહ, ચંદુ ચંદ્રાકર અને જી.કે.મુપનાર સવાર હતા.આ લોકોને તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ જવાબદારી આપી હતી કે ગુજરાત જઈને વિધાનસભા મંડળની બેઠક યોજી નેતાની પસંદગી કરવામાં આવે. માધવસિંહે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં રાજીનામાની જાહેરાત કરી હતી.
માધવસિંહ વિરોધી નેતાઓને આ જાહેરાતમાં પોતાની તક લાગી. આ પહેલાંના ઘટનાક્રમમાં ઝીણાભાઈ દરજીના વિશ્વાસુ મનાતા અમરસિંહ ચૌધરીનું નામ મુખ્યમંત્રી પદ માટે ચર્ચામાં આવી ગયું હતું. અમરસિંહ ચૌધરી પહેલી વાર જ ધારાસભ્ય બન્યા હતા. તેઓ સુરત જિલ્લા પંચાયતમાં નોકરી કરતા હતા અને સરકારી નોકરીમાંથી રાજીનામું આપી ધારાસભાની ચૂંટણી લડી હતી. વિરોધીઓ કોઈ સોગઠાં ગોઠવે એ પહેલા જ માધવસિંહે શાસક પક્ષના નેતા તરીકે અમરસિંહ ચૌધરીનું નામ મૂક્યું.એમના નામ મુકતાની સાથે જ તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ મહંત વિજયદાસે સમર્થન આપ્યું. સનત મહેતા, ઝીણા ભાઈ દરજી અને મનોહર જાડેજા સન્ન રહી ગયા.
અમરસિંહના નામને સમર્થન મળતા જ સનત મહેતા, ઝીણા ભાઈ દરજી અને મનોહર જાડેજા એ દિલ્હીથી આવેલા કોંગ્રેસી નેતા જી.કે.મુપનાર સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો અને નામ ને કોઈ પણ ભોગે સમર્થન ન આપવા ની વાત કહી. મુપનારને એ વાત નહતી સમજાઈ રહી કે બાકી ના બે નેતાઓ અમરસિંહના નામ નો વિરોધ કરે એ સમજાઈ જાય પણ ઝીણાભાઈ નો વિરોધ સમજતો નહતો,ઝીણાભાઈ પોતે પણ આદિવાસી સમાજ માંથી આવતા હતા.
અમરસિંહ પણ આદિવાસી સમાજ ના હતા ઉપરાંત અમરસિંહ ચૌધરી ને રાજકારણ માં પણ ઝીણાભાઈ જ લઇ આવ્યા હતા,આ મુદ્દે તે સમયના કેટલાક પીઢ કોંગ્રેસી નેતાઓનું એવું કહેવું છે કે ઝીણા ભાઈ એ વાતને પચાવી નહતા શકતા કે એમનો જુનિયર જેમને તેઓ પોતે જ રાજકારણમાં લઇને આવ્યા એ આજે એમને જ ઓવરટેક કરીને મુખ્યમંત્રી બની જાય.કદાચ આજ કારણોને લીધે જયારે દિલ્હીથી આવેલા નેતાઓની બેઠક ચાલી રહી હતી ત્યારે ઝીણાભાઈના ગ્રુપે કોંગ્રેસી નેતા નટવરલાલ શાહના નામની ભલામણ કરી અને મુખ્યમંત્રીના પદ પર બધાનું સમર્થન હોવાની વાત નેતાઓ સમક્ષ મૂકી.
નટવરલાલ શાહ એ સમયના બંને કોંગ્રેસી જૂથોમાં સ્વીકાર્ય નેતા હતા અને એ સમયે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ હતા પણ બેઠકમાં જી.કે,મુપનારે સ્પષ્ટ કહી દીધું કે રાજીવ ગાંધી માત્રને માત્ર અમરસિંહને જ મુખ્યમંત્રી બનાવવા માંગે છે એટલે ઝીણા ભાઈ દરજી,સનત મહેતા અને મનોહર જાડેજા ગ્રુપ પાસે બીજો કોઈ રસ્તો ન રહી ગયો અને અમરસિંહ ચૌધરીના નામને મુખ્યમંત્રી તરીકે સ્વીકારવું જ પડ્યું.
અમરસિંહ ચૌધરી ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી બન્યા. તેમના કાર્યકાળમાં અનામતને પાછી લઈ લેવાનો નિર્ણય, સૌરાષ્ટ્રની પાણીની તંગી દુર કરવા માટે ટ્રેન મારફત પાણી પહોંચાડવાથી લઈ અનેક કાર્યો નોંધાયેલા છે. અમરસિંહ ચૌધરી બાદ કોંગ્રેસને તેમના સરીખા આદિવાસી નેતાની ખોટ આજદિન સુધી પડી રહી છે. તેમના નિધન બાદ આદિવાસી કોંગ્રેસ પટ્ટીમાં કોંગ્રેસ માટે કપરાચઢાણ શરુ થઈ ગયા. કોંગ્રેસના આદિવાસી નેતાઓ અમરસિંહની વિરાસતને સાચવી શકવામાં સંપૂર્ણપણે સફળ થયા નથી. અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરી કોંગ્રેસના વગદાર નેતા બન્યા છે. તેઓ આદિવાસી પટ્ટીમાં પિતાની વિરાસતને સાચવી લેવા માટે પ્રયત્નશીલ છે પરંતુ તાપી જિલ્લાનું કોંગ્રેસનું રાજકારણ તેના વરવા સમયમાંથી પસાર થઈ રહ્યું છે.