કોરોનાના કેસોને કાબુમાં લેવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ જગ્યાએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. કોર્પોરેશનની મેડિકલ ટીમે વસ્ત્રાપુરમાં કેશવબાગની પાછળ આવેલી કન્સ્ટ્રકશન સાઈટ પર મજૂરોના કોરોના ટેસ્ટ કરતા મહિલા સહિત ત્રણ મજૂર પોઝિટિવ આવ્યા હતા. જેમને કોવિડ કેસ સેન્ટરમાં મોકલવામાં આવે તે પહેલાં જ ફરાર થઈ ગયા હતા.
વસ્ત્રાપુર પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જો કે કોર્પોરેશનના મેડિકલ ઓફિસરે ફરાર થઈ ગયાના ત્રણ દિવસ બાદ ફરિયાદ કરતા સવાલ ઉભા થઇ રહ્યા છે.
કોર્પોરેશનના મેડિકલ ઓફિસર અને તેમની ટીમ કોરોના વાયરસને લઇ ઉત્તર પશ્ચિમ ઝોનમાં ટેસ્ટ અને ગાઈડલાઈનનું પાલન કરાવે છે. 15 ઓગસ્ટના રોજ તેમની ટીમ સાથે સવારે તેઓ વસ્ત્રાપુર કેશવબાગ પાછળ આવેલી શાહપુરજી પાલનજી કન્સ્ટ્રકશન સાઈટ પર કોરોનાના ટેસ્ટ કરવા ગયા હતા. મધ્યપ્રદેશના ધારબાગના રહેવાસી રેવસિંગ, હત્રી અને પ્રકાશ નામના ત્રણ મજૂરના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા.
જેથી તેઓને સાઈડમાં બેસાડી સમરસ હોસ્ટેલમાં કોવિડ સેન્ટરમાં મોકલવા 108 બોલાવી હતી. તે દરમ્યાનમાં ત્રણેય નજર ચૂકવી સાઈટ પરથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાના ત્રણ દિવસ બાદ મેડિકલ ઓફિસરે વસ્ત્રાપુર પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી હતી.