ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીયમંત્રી ભરતસિંહ સોલંકી ફરી એકવખત વિવાદમાં આવ્યા છે. ભરતસિંહના અમેરિકા સ્થિત ધર્મપત્ની રેશ્મા સોલંકીએ એક પત્ર લખીને ખળભળાટ મચાવ્યો છે. અમેરિકામાં રહેતા પત્ની રેશ્મા સોલંકીએ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને રઘુ શર્માને પત્ર લખ્યો છે. જેમાં તેમને જણાવ્યું છે કે ભરતસિંહ સોલંકી પોલિટીકલ સ્ટેટસનો ઉપયોગ કરી PM મોદી સાથે ભળી ગયા છે. અને કાંગ્રેસને ખતમ કરવા માંગે છે. તેમના આ લેટરબોમ્બથી રાજકારણમાં ખળભળાટ મચ્યો છે.
રેશ્મા સોલંકીએ કોંગ્રેસના હાઈકમાન્ડને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ભરતસિંહ સોલંકી ગુજરાતના લોકોને ખોટા સંદેશ આપી કોંગ્રસને સત્તામાં આવતી અટકાવી રહ્યા છે. તેઓ મુખ્યમંત્રીના દાવેદાર તરીકે જાહેર થવા માંગે છે, જો એવું નહી થાય તો બીજા કોઇને CM નહી બનવા દે. રેશ્મા સોલંકીએ ઉમેર્યું હતું કે, મારા દિયર અમિત ચાવડા આ બધુ જાણતા હોવા છતાં રાજકીય કારકિર્દી બનાવવા મુક સંમતિ આપે છે. જે ઘરની મહિલાઓને ન્યાય ન અપાવી શકતા હોય એ રાજ્યની મહિલાઓને શું ન્યાય અપાવશે? 24 વર્ષ પહેલાં પરિવારની મરજી વિરૂધ્ધ મારા તેમની સાથે લગ્ન થયા હતા. પરંતુ મને પત્ની તરીકેનો કોઈ અધિકાર આપ્યા વિના ઘરમાંથી કાઢી મુકવામાં આવી હતી. છતાંય તેઓ ચૂપ રહ્યા હતા.
રેશ્મા સોલંકીએ પત્રમાં દાવો કર્યો છે કે ભરતસિંહના કેટલીક મહિલાઓ સાથે અનૈતિક સંબંધ છે. આ બધી મહિલાને ચૂંટણીમાં ટિકટ અપાવી સારી મહિલાઓને રાજકારણમાં આગળ આવતી અટકાવી છે. મારા પતિ આ મહિલાઓ સાથે સતત ચેટિંગ કરતા રહે છે. તેઓ વારંવાર કહે છે કે, ઉંમર વધુ છે તો શુ થયું. 22 વર્ષની યુવતીઓથી લઈને તેમની ઉંમરની મહિલાઓ સાથે તેમના સંબંધ છે. મારા પતિની મોટાભાગની એનર્જિ આ મહિલાઓ સાથે કામ કરવામાં જ ખર્ચાઈ જાય છે. મેં તેમને અનેક વાર સમજાવ્યા હોવા છતાં પણ તેઓ સમજતા નથી.