ફોર્ચ્યુન બ્રાન્ડ હેઠળ ઉત્પાદનોનું વેચાણ કરતી અદાણી વિલ્મરે વૈશ્વિક તેલના ભાવમાં ઘટાડા વચ્ચે ખાદ્ય તેલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 30 સુધીનો ઘટાડો કર્યો છે, જેની જાહેરાત સોમવારે કરવામાં આવી હતી. સોયાબીન તેલના ભાવમાં સૌથી મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. નવી કિંમતો સાથેના કન્સાઈનમેન્ટ ટૂંક સમયમાં બજારમાં પહોંચશે. અગાઉ, મધર ડેરી, જે ધારા બ્રાન્ડ હેઠળ ખાદ્ય તેલનું વેચાણ કરે છે, તેણે સોયાબીન અને ચોખાના તેલના ભાવમાં 14 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો હતો.
ખાદ્ય તેલની કિંમતો પર ચર્ચા કરવા માટે ખાદ્ય મંત્રાલયે 6 જુલાઈના રોજ એક બેઠક બોલાવી હતી, જેમાં તમામ ખાદ્ય તેલ કંપનીઓને વૈશ્વિક ભાવમાં ઘટાડાના ફાયદા ગ્રાહકો સુધી પહોંચાડવા નિર્દેશ આપવામાં આવ્યો હતો. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “વૈશ્વિક કિંમતોમાં થયેલા ઘટાડા અને ખાદ્યતેલના ભાવમાં ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવાના સરકારના પ્રયાસોને ધ્યાનમાં રાખીને, અદાણી વિલ્મરે ખાદ્ય તેલના ભાવમાં વધુ ઘટાડો કર્યો છે.” ગયા મહિને પણ ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.
ફોર્ચ્યુન સોયાબીન તેલની કિંમત 195 રૂપિયા પ્રતિ લીટરથી ઘટાડીને 165 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે. સૂર્યમુખી તેલની કિંમત 210 રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને 199 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે. સરસવના તેલની મહત્તમ છૂટક કિંમત 195 રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને 190 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે. ફોર્ચ્યુન રાઇસ બ્રાન તેલની કિંમત 225 રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને 210 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે.
અદાણી વિલ્મરના મેનેજિંગ ડિરેક્ટર અને CEO અંગશુ મલિકે જણાવ્યું હતું કે, “અમે વૈશ્વિક સ્તરે કિંમતોમાં ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડ્યો છે અને નવી કિંમતના કન્સાઇનમેન્ટ્સ ટૂંક સમયમાં બજારમાં પહોંચશે.”