સુરત મહાનગરાપાલિકાની ઐતિહાસિક ઈમારત અંગે ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય ગુજરાત હાઈકોર્ટના દિશાનિર્દેશ બાદ લેવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાની ઐતિહાસિક ઈમારત વક્ફ બોર્ડ હસ્તક રહેશે એવો જવાબ ગુજરાત વક્ફ બોર્ડે હાઈકોર્ટમાં આપ્યો છે.
સુરત શહેરમાં મુગલીસરા સ્થિત સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને અડીને આવેલ “મસ્જિદે હુમાયુ સરાય” અંગે પીટીશનર અબ્દુલ્લાહ જરૂલ્લાહ (ઉ.વ.70) ઠેઠ 1996 થી ઐતિહાસિક સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીની મિલ્કત “વકફ મિલ્કત” છે અને આ મિલ્કત પર સંપૂર્ણપણે વક્ફ કરાયેલી હોવાની લડતના મંડાણ કર્યા હતા. છે. 25 વર્ષની આ લડતમાં આ ઈમારત “વકફ મિલ્કત” છે અને જે તે સમયે સુરત થી જતા હજયાત્રીઓ માટે મુસાફિર ખાના તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો.
મુઘલ બાદશાહ શાહજહાંના પુત્રી જહાંઆરા કે,જેમની પાસે સુરતની જાગીર હતી. તેઓના વિશ્વાસુ “ઈસાકબેગ યઝદી” ઉર્ફે હકિકતખાને ઈ.સ. 1644માં રૂ. 33081/- ના ખર્ચે “હુમાયુસરાય” બનાવી વકફ કરેલી એ દસ્તાવેજી પુરાવા એકઠા કરીને સુરત મહાનગરપાલિકા,ગુજરાત રાજ્ય વકફ બોર્ડ,અન્ય સરકારી વિભાગો તેમજ હાઈકોર્ટ સમક્ષ દસ્તાવેજી પુરાવા સાથેની રજૂઆતો કરતા અંતે તા. 25/11/2021ના રોજ ગુજરાત રાજ્ય વકફ બોર્ડને હુકમ કર્યો હતો. હુકમમાં જણાવ્યા મુજબ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી વાળી મિલ્કત સરકારી તમામ રેકોર્ડ પર “હુમાયુસરાય વકફ મિલ્કત” નોંધી ગુજરાત રાજ્ય વકફ બોર્ડ વહીવટકર્તા તરીકે રહેશે.
વક્ફ બોર્ડના ચેરમેન સજ્જાદ હીરાએ આ અંગે વિસ્તૃત પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુરત મહાનરપાલિકાની ઈમારતના માલિકીપણા અંગે કોર્ટમાં સ્પષ્ટતા કરવા જણાવવામાં આવ્યું હતું. હાઈકોર્ટના નિર્દેશ બાદ સંપૂર્ણ તપાસ અંગે પુરાવા જોઈને સુરત મહાનગરપાલિકાની ઈમારત વક્ફ બોર્ડ હેઠળ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઈમારત હવે સીધી રીતે વક્ફ બોર્ડ હેઠળ રહેશે અને વક્ફ બોર્ડ જ વહીવટકર્તા રહેશે. અન્ય કોઈ ત્રાહિત વ્યક્તિને વહીવટકર્તા બનાવવામાં આવ્યા નથી. જ્યારે અબ્દુલ્લાહ જારુલ્લાહ આ મામલે હાઈકોર્ટ અને વક્ફ બોર્ડમાં એક અરજદાર હતા અને તેમની પીટીશનના આધારે કેસ ચલાવવામાં આવ્યો હતો.