ગાંધીનગર: ગુજરાત કેડરના 1983-84 અને 1985 બેચના ચાર ADGને DG તરીકે બઢતી આપવામાં આવી છે. જ્યારે 1991 બેચના બે અધિકારીઓને IG માંથી ADGP તરીકે અને 1999 બેચના આઠ અધિકારીઓને DIG માંથી IG તરીકે એ જ જગ્યા પર બઢતી આપવામાં આવી છે. સરકારે કુલ 14 અધિકારીઓની બઢતીના હુકમો આજે બુધવારે સાંજે કરવામાં આવ્યા હતાં. 1983 બેચના શિવાનંદ ઝા, 1984 બેચના તિર્થરાજ અને 1985 બેચના અમદાવાદ પોલીસ કમિશ્નર એ.કે.સિંઘ અને સીઆઇડી ક્રાઇમના વડા આશિષ ભાટિયાને એડીજીમાંથી ડીજીમાં બઢતી આપવામાં આવી છે. સરકાર સાત એડીજીને ડીજીમાં બઢતી આપવાની વિચારણામાં હતી પરંતુ ગૃહ વિભાગમાં અધિકારીઓની ઇનફાઇટને કારણે માત્ર ચાર એડીજીને ડીજીમાં બઢતી આપવામાં આવી છે. આ ઉપરાંત સુરત રેન્જ આઇજી સમશેરસિંગ અને ગૃહ વિભાગના સચિવ મનોજ અગ્રવાલને એડીજીમાં બઢતી આપી તે જ જગ્યા પર રાખવામાં આવ્યા છે. એટલે કે બદલી કરાઇ નથી. ઉપરાંત 1999 બેચના આઠ ડીઆઇજી રેંકના અધિકારીઓ બ્રિજેશ કુમાર ઝા, અજય કુમાર ચૌધરી, ગોધરા રેન્જ ડીઆઇજી અભયસિંહ ચુડાસમા, હરિકૃષ્ણ પટેલ, એસ.એમ. ખત્રી, કે.જી. ભાટી, એસ.જી. ત્રિવેદી અને રાજકોટ શહેરના અધિક પોલીસ કમિશ્નર (ક્રાઇમ) ડી.એસ. ભટ્ટને પણ તેમની હાલની ફરજની જગ્યા પર આઇજી તરીકે બઢતી અપાઇ છે. 1997 બેચના રાજકોટ પોલીસ કમિશ્નર અનુપમસિંગ ગેહલોત પણ આઇજી છે. હવે ડીઆઇજી ડી.એસ. ભટ્ટને પણ રાજકોટમાં જ આઇજી તરીકે બઢતી આપવામાં આવતા રાજકોટ પોલીસ કમિશ્નરેટમાં બે આઇજી થયા છે. ગૃહ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર બઢતીના હુકમો કરી દેવામાં આવ્યા છે હવે આગામી દિવસોમાં આ અધિકારીઓ ઉપરાંત બીજા 30 જેટલા અધિકારીઓની બદલીના હુકમો કરવામાં આવે તેવી શક્યતા છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.