મેહુલ ભટ્ટ દ્વારા
ગુજરાત વિધાનસભાની ચુંટણી છ છ વાર લડેલા અને માત્ર એક જ વાર ૨૦૦૨મા ચુંટણી હારેલા અને સતત ચૂંટાતા રહેલા રૂપાણી સરકારના કેબીનેટ મંત્રી આત્મારામ પરમાર માટે આ વખતની ચુંટણી લોઢાના ચણા ચાવવા જેવી સાબિત થાય તેવું છે. સતત ચૂંટણી લડીને જીતતા રહેતા હોવાથી ભાજપે તેમને ટીકીટ આપવી પડે તેવો દાવો આત્મારામ પરમાર કરતા રહયા છે, પરંતુ નવાઈની વાત એ છે કે આજે પણ ગઢડામાં તેમની ઓફીસ નહિ હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે અને લોકો તેમને બહારના જ ઉમેદવાર ગણે છે
પરંતુ આ વખતે પરિસ્થિતિ ઘણી જ વિપરીત છે. કારણ કે ઉના કાંડ પછી અહીના દલિતોમાં આત્મારામ સામે ઉગ્ર આક્રોશ છે, તો બીજી તરફ ભાજપના ઉમેદવારો સામે પાટીદારોમાં પ્રવર્તી રહેલી નારાજગીનો સીધો ભોગ પણ તેઓ બની રહ્યા છે. ગઢડા, ઉમરાળા અને વલભીપુરની તાલુકા પંચાયતની બેઠકો પણ કોંગ્રેસે આંચકી લીધેલી છે.
ગઢડાના લોકોને ૧૯૯૨મા મગનલાલ રાણવાનાં મૃત્યુ બાદ કોઈ સ્થાનિક ઉમેદવાર પ્રાપ્ત થયો નથી. અને ગઢડાના લોકોમાં આ વખતે સ્થાનિક ઉમેદવારની માંગ પ્રબળ બનેલી છે. અત્યાર સુધી એવું હતું કે સુરત અને સ્થાનિક પાટીદારો ધ્વારા ગઢડાની આ બેઠક આત્મારામને ભેટ જ ધરવામાં આવી હતી. પરંતુ આ વખતે પાટીદારોના બદલાયેલા તેવરની વચ્ચે ટકી રહેવું આત્મારામ માટે ભારે મુશ્કેલ જણાઈ રહ્યું છે.
ગઢડા બેઠકમાં સામાન્ય રીતે આંકડાઓ ઉપર નજર નાખવામાં આવે તો ૬૦ હજાર જેટલા પાટીદાર ૪૦ હજાર જેટલા દલિતો, ૯૦ હજાર જેટલા કોળી મતદારો છે. તે ઉપરાંત ૧૫ હજાર જેટલા ક્ષત્રિય અને ૧૫ હજાર આહીર તેમજ ૧૦ હજાર રજપૂતો તેમજ બ્રાહ્મણો અને જૈનો મળીને દસ હજાર જેટલા મતદારો છે.