ગુજરાત રાજ્યુના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં સરદાર પટેલ રીંગ રોડ ઉપર મેમદપૂરા રોડ ક્રોસીંગ પરના બ્રીજ નીચે પડવાની ઘટનાને લઇ એક્શનમાં આવ્યા છે. બોપલ સનાથલ તરફ જતા એક બોક્ષ ગર્ડરના અચાનક તૂટી પડવા અંગેની દુર્ઘટનાની ગંભીરતા ધ્યાને લઇ ઘટનાની તપાસ માટે ઉચ્ચ કક્ષાની તપાસ સમિતિની રચનાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ 30 દિવસમાં આ અંગેનો રિપોર્ટ આપવા આદેશ કર્યો છે.
આ તપાસ સમિતિ દુર્ઘટના થવાના કારણો, નુકશાનીની વિગતો તથા નિર્માણ કાર્યને લગતી કામગીરીની ક્ષતિ- બેદરકારીની તપાસ કરશે. એટલું જ નહિં ભવિષ્યમાં આવા બનાવો ના બને તે માટેના સુધારાત્મક પગલાંઓ સૂચવશે. શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ સચિવ લોચન સહેરાની અધ્યક્ષતામાં તપાસ સમિતિમાં અન્ય 4 સભ્યોની સેવાઓ જરૂરીયાત મુજબ લઇ શકાશે. તપાસ સમિતિએ પોતાનો પ્રાથમિક અહેવાલ 30 દિવસમાં રાજ્ય સરકારને સુપરત કરવાનો રહેશે.
આ તપાસ સમિતિમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મુખ્ય ઇજનેર, માર્ગ અને મકાન વિભાગના ડિઝાઇન સર્કલના મુખ્ય અથવા અધિક્ષક ઇજનેર, GERI વડોદરાના એક પ્રતિનિધિ તેમજ ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના એક પ્રતિનિધિની સેવાઓ જરૂર જણાયે લેવામાં આવશે તેમ પણ ઠરાવવામાં આવ્યું છે. ફરીથી આવી કોઈપણ દુર્ઘટના બને નહીં તે માટે કેવા પગલાં લઈ શકાય અને કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે તેના સૂચનો પણ તપાસ સમિતિએ આપવાના રહેશે.