ગુજરાત કોંગ્રેસને એક-બે દિવસમાં નવા પ્રમુખ મળવાની શક્યતા જોવા મળી રહી છે. નવા પ્રમુખ તરીકે અનેક નામોની ચર્ચા ચાલી રહી છે. તો બીજી તરફ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ક્ષત્રિય અને આદિવાસી નામ પર પસંદગીનો કળશ ઢોળાય તેવી શક્યતા જોવા મળી રહી છે.
કોંગ્રેસ વર્તુળોના જણાવ્યા મુજબ કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાતમાં પ્રમુખ અને સીએલપી લીડર માટે નો-રિપીટ ફોર્મ્યુલા અપનાવી છે. આ નો-રિપીટ ફોર્મ્યુલામાં અગાઉ પ્રમુખ બનેલા તમામ નામો આપોઆપ કપાઈ ગયા છે અને નવા નામ તરીકે બે ધારાસભ્યોના નામ ચર્ચામાં આવ્યા છે.
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે પાટણના ધારાસભ્ય જગદીશ ઠાકોર અને વિપક્ષી નેતા પદ માટે જેતપુર-પાવી-ક્વાંટના ધારાસભ્ય સુખરામ રાઠવાનું રેસમાં સૌથી ટોપ પર ચાલી રહ્યું છે. હાલ કોંગ્રેસ હાઈકમાન્ડ એ વાત પર મસલત કરી રહ્યું છે કે ક્ષત્રિય અને આદિવાસી કોમ્બીનેશન થકી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનાં ગાડાને કેવી રીતે હંકરવું.
જગદીશ ઠાકોરનું નામ અનેકવાર ચર્ચામાં આવી ચૂક્યું છે જ્યારે સુખરામ રાઠવાનું નામ પહેલી વાર ચર્ચામાં આવ્યું છે. જોકે, ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ શક્તિસિંહ ગોહીલ અથવા અર્જુન મોઢવડિયાને પ્રમુખ બનાવવાની પ્રપોઝલ મૂકી છે. બીજી તરફ રાજ્યસભાના પૂર્વ સાંસદ દિપક બાબરીયાનું નામ પણ હાલ પ્રમુખ પદ માટે ચર્ચામાં આવ્યું છે. પરંતુ દિપક બાબરીયાને બ્રેઈન સ્ટોક આવ્યા બાદ તેમની માંદગીને લઈ કોંગ્રેસ હાઈકમાન્ડ તેમને અન્ય કોઈ જવાબદારી સોંપી શકે છે.