રાજ્યમાં સર્વત્ર કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. ત્યારે એવામાં હવે શહેરો બાદ ગામડાંના વિસ્તારો પણ બાકાત નથી રહ્યાં ત્યારે રાજ્યમાં પાટણમાં પણ કોરોનાના કેસો રોજબરોજ વધતા જઇ રહ્યાં છે. જેથી પાટણમાં સર્વાનુમતે એક અઠવાડિયાના લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. એવામાં શહેર સહિત જીલ્લામાં ૦૭ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે જે મંગળવારના રોજથી અમલમાં મુકાશે. તારીખ 20 એપ્રિલથી 28 એપ્રિલ સુધી સમગ્ર જિલ્લામાં લોકડાઉન રહેશે. કલેક્ટર, SP, વેપારીઓ અને તબીબો સાથેની બેઠક બાદ આ અંગેનો મહત્વનો નિર્ણય કરાયો છે. જો કે લોકડાઉન દરમિયાન સ્વૈચ્છિક લોકડાઉનમાં જીવનજરૂરીયાતની વસ્તુઓ માટે લોકો બહાર નીકળી શકશે.બીજી બાજુ પાટણમાં વધુ એક ઐતિહાસિક મંદિરને પણ કોરોનાનું ગ્રહણ નડ્યું છે. કોરોનાના કહેર વચ્ચે લોટેશ્વર ખાતે આવેલું પ્રાચીન લોહેશ્વર મહાદેવનું મંદિર આજથી 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લાં એક મહિનાથી કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે ગત રોજ શુક્રવારના દિવસે ફરી રાજ્યમાં કોરોનાના નવા 8920 કેસો નોંધાયા છે. જ્યારે આજ રોજ વધુ 94 લોકોના મોત નિપજ્યાં છે. જેમાં અમદાવાદમાં વધુ નવા 2898, સુરતમાં 1920, રાજકોટમાં 759 અને વડોદરામાં 600 કેસ અને પાટણમાં વધુ નવા 125 કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કુલ 94 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 25, સુરતમાં 24, રાજકોટમાં 8 અને વડોદરામાં 8 દર્દીઓના મોત થયા છે. તો રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 5170 દર્દીઓના મોત થઇ ચૂક્યાં છે.