ગાંધીનગર- ગુજરાતમાં હાહાકાર ફેલાય તેવી માહિતી કેન્દ્રએ આપી છે. દિલ્હીના નિઝામુદ્દીનમાં ગુજરાતમાંથી કેટલા લોકો ગયા છે તેની યાદી આપ્યા પછી ગુજરાત સરકારે તેવા વ્યક્તિઓને શોધવાનું શરૂ કર્યું છે. કેન્દ્રની યાદી પ્રમાણે 1500 લોકો ગુજરાતમાંથી દિલ્હી ગયા હતા.
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યું છે કે, નોવેલ કોરોના વાયરસ સંક્રમણને અટકાવવા માટે દેશભરમાં લોકડાઉન છે જેનો રાજ્યમાં અસરકારક અમલ થઈ રહ્યો છે ત્યારે નાગરિકો પણ સ્વયં સંયમ રાખીને ચુસ્ત અમલ કરે એ જરૂરી છે. એ આપણા સૌની જવાબદારી અને સૌની ફરજ છે, તો જ સંક્રમણની સાંકળને આપણે આગળ વધતી અટકાવી શકીશું.
રાજ્યમાં આજે નવા આઠ પોઝેટીવ કેસ નોંધાયા છે. જે તમામે તમામ અમદાવાદના છે. જેમાં ચાંદખેડા, બોડકદેવ, રાયપુર, શાહપુર, કાલુપુર અને બાપુનગર વિસ્તારનો સમાવેશ થાય છે. આ સાથે ગુજરાતમાં જે 82 પોઝિટિવ કેસો નોંધાયા છે તે પૈકી 67 કેસ સ્ટેબલ, 3 વેન્ટિલેટર ઉપર અને 6 દર્દીઓ સાજા થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે.
જ્યંતિ રવિએ કહ્યું હતું કે દિલ્હીમાં નિઝામુદીન વિસ્તારમાં એકઠા થયેલ વ્યકિતઓમાં જોવા મળેલા પોઝિટીવ કેસોને ધ્યાને લઇ ભારત સરકારે આ સમયગાળા દરમ્યાન તે વિસ્તારની મુલાકાત લીધેલા અંદાજીત 1500 વ્યકિતઓની યાદી રાજય સરકારને સુપ્રત કરી છે. જેના આધારે આવા તમામ વ્યકિતઓનું રાજય સરકારે ટ્રેકીંગ ચાલુ કરેલ છે. આવા વ્યકિતઓ તેમજ તેઓના ઘનિષ્ઠ સંપર્કમાં આવેલ વ્યકિતઓમાં રોગના લક્ષણો છે કે કેમ તેની માહિતી એકઠી કરવામાં આવી રહી છે.
રાજય સરકારની હેલ્પલાઇન નંબર-140 ઉપર નિયમિત રીતે વ્યકિતઓ મદદ માંગી રહયા છે અને માહિતી મેળવી રહયા છે. તેની માહિતી આપતા તેમણે કહ્યું કે, અત્યાર સુધી 28000 થી વધુ આવા કોલ આવેલ છે જયારે હેલ્પલાઇન ઉપર વ્યકિતઓ પોતાના લક્ષણોની વિગતો આપે તો આવા વ્યકિતઓને પણ નિરીક્ષણ હેઠળ લઇ જરૂરી સારવાર પુરી પાડવામાં આવી રહી છે. જે પૈકી 496 જેટલા વ્યકિતઓને આ રીતે સારવાર પુરી પાડવામાં આવી છે.
રાજ્યમાં ગંભીર દર્દીઓની સારવાર માટે તમામ વિભાગોમાં થઇને સરકારી હોસ્પિટલો ખાતે 1061 વેન્ટીલેટર ઉપલબ્ધ છે અને ખાનગી સંસ્થાઓમાં અંદાજીત 1700 જેટલા વેન્ટીલેટર ઉપલબ્ધ છે. તે ઉપરાંત રાજ્યમાં હાલની નોવેલ કોરોના વાયરસના સંક્રમણની પરિસ્થિતિમાં જરૂરી તમામ દવાઓ, સાધન સામગ્રી, માનવબળ અને તમામ અન્ય કોઇપણ જરૂરી વસ્તુઓ,સેવાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરી શકાય તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા ખાસ ખરીદ સમિતિ બનાવવામાં આવેલ છે.
રાજ્યમાં અમદાવાદ ખાતે 1200 બેડ, વડોદરા, રાજકોટ અને સુરત ખાતે 250 બેડ તેમજ તમામ જીલ્લા ખાતે 100 બેડની હોસ્પિટલો ઉભી કરવામાં આવનાર છે. આમ કુલ રાજયમાં 4650 બેડની સુવિધા વધારવામાં આવશે જે માત્ર કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે વાપરવામાં આવનાર છે. તો બીજી તરફ રાજ્યની અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર તથા રાજકોટ ખાતેની મેડિકલ કોલેજોમાં અને અમદાવાદ ખાતેની ત્રણ ખાનગી લેબોરેટરી ન્યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરી યુનીપેથ લેબોરેટરી અને પાનજીનોમિકસ લેબોરેટરી અમદાવાદમાં કોવિડ-19 માટે લેબોરેટરી ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.
COVID-19 રોગચાળા અંતર્ગત આરોગ્ય સેવાઓને વિપરિત અસર ન પડે તે હેતુથી રાજ્ય સરકારે આરોગ્ય વિભાગમાં કાર્યરત 31મી માર્ચ અને 30મી એપ્રિલના રોજ વય નિવૃત થતાં તમામ અધિકારી/કર્મચારીઓની નિવૃત્તિ 31મી મે સુધી લંબાવવામાં આવી છે. જેના પરીણામે આવી રોગચાળાની પરીસ્થિતિમાં આ કર્મચારીઓનો અનુભવનો લાભ રાજ્યને મળી રહેશે.