નવી દિલ્હીઃ કોરોના વાયરસની બીજી લહેર લોકોના સ્વાસ્થ્ય માટે તો ઘાતક સાબિત થઈ છે સાથે સાથે લોકોને આર્થિક રીતે પણ પાયમાલ કરી રહી છે. આવી સ્થિતિમાં હવે ઘરેલૂ હવાઇ યાત્રા મોંઘી થવા જઇ રહી છે. પહેલી જૂનથી સ્થાનિક હવાઈ મુસાફરી કરવી હશે તો લોકોને વધારે પૈસા ખર્ચવા પડશે. સરકારે હવાઇ ભાડાની નીચલી સીમામાં 13થી 16 ટકાનો વધારો કર્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયએ જારી કરેલા સત્તાવાર આદેશમાં તે કહેવામાં આવ્યું છે. હવાઇ યાત્રાના ભાડામાં આ વધારો 1 જૂનથી લાગુ થશે. હવાઇ ભાડાની મહત્તમ સીમાને જો કે પૂર્વવત રાખી છે.
સરકારના આ પગલાથી એરલાઇન કંપનીઓને મદદ મળશે. કોવિડ 19ની બીજી લહેરના કારણે હવાઇ યાત્રાની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જેની આવક ઘટી છે. દેશમાં હવાઇ ઉડાન અવધિના આધારે હવાઇ યાત્રા ભાડાની નીચલી અને મહત્તમ સીમા નક્કી કરવામાં આવી છે. આ સીમા ગત વર્ષે બે મહિના ચાલેલા લોકડાઉનના 25મેએ ખુલવા સમયે નક્કીક કરવામાં આવી હતી.
કેટલું ચુકવવુ પડશે ભાડુ
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જારી કરેલા સત્તાવાર આદેશમાં કહ્યું કે 40 મિનિટ સુધીની અવધિની હવાઇ ઉડાન માટે ભાડાની નીચલી સીમા 2300 રૂપિયાથી વધારીને 2600 રૂપિયા કરવામાં આવી છે જેમાં 13 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ જ રીતે 40 મિનિટથી લઇને 60 મિનિટની ઉડાન અવધિ માટે ભાડાની નીચલી સીમા 2900 રૂપિયાના બદલે હવે 3300 રૂપિયા પ્રતિ વ્યક્તિ હશે.
DGCA એ ગત વર્ષે મેમાં ડોમેસ્ટિક ફ્લાઇટ્સ માટે કુલ 7 ફેર બેંડની ઘોષણા કરી હતી. તે 7 પ્રાઇસ બેંડ યાત્રાના સમય પર આધારિત છે. પહેલો બેંડ તે ફ્લાઇટ માટે છે જે 40 મિનિટ સુધીની યાત્રા કરે છે. બાકીના બેંડ અનુક્રમે 40થી 60 મિનિટ, 60થી 90 મિનિટ, 90થી 120 મિનિટ, 120થી 150 મિનિટ, 150 મિનિટથી 180 મિનિટ અને 180 મિનિટથી 210 મિનિટની છે. 60થી 90 મિનિટ, 90થી 120 મિનિટ, 120થી 150 મિનિટ, 150થી 180 મિનિટ અને 180થી 210 મિનિટના બેંડ માટે લોઅર લિમિટ અનુક્રમે 4000 રૂપિયા, 4700 રૂપિયા, 6100 રૂપિયા, 7400 રૂપિયા અને 8700 રૂપિયા હશે.
30 જૂન સુધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ પર રોક
કોરોનાના સેકન્ડ વૅવને કારણે સરકારે આંતરરાષ્ટ્રીય કમર્શિયલ ફ્લાઈટ્સ પરનો પ્રતિબંધ જુનના અંત સુધી લંબાવવાનો નિર્ણય જાહેર કર્યો છે. જોકે, વંદે ભારત મિશન અને ભારત તેમજ અન્ય કેટલાક દેશો વચ્ચે સહમતીથી ફ્લાઈટ્સનું આવા-ગમન જારી છે, તે ચાલુ રહેશે. તેમજ સરકારના નોર્મ્સ પ્રમાણે લાયક મુસાફરો દેશમાં આવી તેમજ જઈ શકશે. નોંધપાત્ર છે કે, કોરોનાના કારણે 23મી માર્ચ, 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ બંધ કરી દેવામાં આવી હતી.
મહામારીના પગલે મૂકવામાં આવેલા આંતરરાષ્ટ્રીય કમર્શિયલ ફ્લાઈટ્સ પરના પ્રતિબંધને 15 મહિના પસાર થઈ ગયા છે, પણ પરિસ્થિતિ જોતા સરકાર હજુ આ મામલે કોઈ છુટછાટ આપવા માગતી નથી. ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને શુક્રવારે કરેલા સરક્યુલરમાં જણાવવામાં આવ્યું છે કે, ભારત આવતી અને ભારતથી વિદેશ જતી આંતરરાષ્ટ્રીય કમર્શિયલ પેસેન્જર ફ્લાઈટ્સ પરના પ્રતિબંધને તારીખ 30મી જુન, 2021 ના રાત્રિના 11.59 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો છે.
ડીજીસીએએ જણાવ્યું છે કે, અમારો આ નિર્ણય આંતરરાષ્ટ્રીય ઓલ-કાર્ગો ઓપરેશન તેમજ ડીજીસીએ દ્વારા ખાસ માન્યતા પ્રાપ્ત ફ્લાઈટ્સ પર લાગુ નહી પડે. આંતરરાષ્ટ્રીય કર્મશિયલ ફ્લાઈટ્સને પસંદગીના રૂટ પર સંબંધિત જવાબદાર સત્તાધીશો દ્વારા કેસ ટુ કેસ બેઝ પર મંજુરી આપવામાં આવી શકે છે.
છેલ્લા એક વર્ષમાં ભારતે ઘણા બધા દેશોમાં અટવાયેલા નાગરિકોને પરત લાવવા માટે વંદે ભારત મિશન હેઠળ ફ્લાઈટ્સ મોકલી હતી. કેટલાક દેશો સાથે ભારતે ‘એર બબલ’ સ્થાપિત કર્યું હોવાથી ત્યાંથી ફ્લાઈટનું આવાગમન થતું હોય છે. મહામારી વચ્ચે 20 દેશોએ ભારતથી આવતી ફ્લાઈટસ પર પ્રતિબંધ મૂક્યો છે કે ભારતથી આવનારા પ્રવાસીઓ પર કડક નિયંત્રણો લાદ્યા છે.