ગાંધીનગર- દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં મરકઝમાં હાજરી આપનારા માત્ર 72 નાગરિકોની ઓળખ થઇ શકી હોવાનું રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા મળેલી માહિતી પ્રમાણે આ ઓળખ થઇ છે. અમદાવાદના 34 (જે પૈકી 27 ઉત્તરપ્રદેશના છે), ભાવનગરના 20 (જેમાંથી એક દર્દીનું મૃત્યુ થયું છે), મહેસાણાના 12, બોટાદના 4 તેમજ નવસારીના 2 નાગરિકોનો સમાવેશ થાય છે. હાલ આ તમામ નાગરિકોને ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે.
દિલ્હી મરકઝથી આવેલા અન્ય નાગરિકોની ટ્રેસીંગ અને સર્વેલન્સની કામગીરી હજુ ચાલુ છે. આ સિવાયના કોઈ નાગરિકો મરકઝમાં કે અન્ય સ્થળે જઈને આવ્યા હોય, તો તેઓ સામેથી આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગનો સંપર્ક કરે એ ઇચ્છનીય છે. આમ કરવાથી તેમની અને તેમની આસપાસના અન્ય લોકોની સલામતી પણ જળવાશે, પરંતુ જો કોઈ નાગરિકો આવી જાણ નહીં કરે, તો તેમની સામે ગુનો નોંધવા સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્યના પોલીસકર્મીઓની ફરજસોંપણીની વિગતો આપતાં રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે પોલીસ કર્મચારીઓ બે શિફ્ટમાં ફરજ બજાવશે. તદુપરાંત, ગ્રામ્યસ્તરે એસપી અને ડીવાયએસપી, જ્યારે શહેરી વિસ્તારોમાં પોલીસ કમિશનર, ડીસીપી તથા એસીપી સહિતના ઉપરી અધિકારીઓ દરેક પોઇન્ટ પર રૂબરૂ જઈ, કામગીરીનું મૂલ્યાંકન કરશે તેમજ ફરજમાં શું ધ્યાન રાખવું, શું કરવું અને શું ન કરવું તેની સમજણ આપશે. પોલીસ કર્મચારીઓ પણ તેમને પડતી મુશ્કેલીઓ વિશે આ અધિકારીઓને જણાવી શકશે.
રાજ્યમાં લોકડાઉનની કડક અમલવારીને ધ્યાને રાખીને રાજ્યના 1526 વનકર્મીઓ તેમજ 183 આરટીઓના કર્મચારીઓ પણ પોલીસની સાથે જોડાશે. જે તમામ પોતપોતાના હાલના ફરજના સ્થળે કામગીરી કરશે. આ ઉપરાંત, જરૂર પડ્યે ખાનગી સિક્યૉરિટીના કર્મચારીઓને પણ પોલીસની મદદમાં મૂકવામાં આવશે. આ સિવાય કોરોનાના આ કપરાકાળમાં પોલીસની કામગીરીમાં મદદરૂપ થવા નાગરિકોને પણ વ્હોટ્સએપ, ટ્વિટર કે ફેસબુક જેવાં સોશિયલ માધ્યમો થકી તેમની ફરિયાદો, રજૂઆતો કે સૂચનો રાજ્ય પોલીસ વિભાગને પહોંચાડવા તેમણે અનુરોધ કર્યો હતો.
રાજ્ય બહારથી માલ લઈને આવતાં ગુડ્સ વાહનો અંગે તેમણે કહ્યું કે આવાં માલવાહક વાહનોને કોઈ પાસની જરૂર નથી. જોકે, આવાં વાહનચાલકો પરત જતી વખતે અન્ય રાજ્યોના નાગરિકોને વાહનમાં બેસાડીને લઈ ન જાય, એ જોવા માટે ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના સંચાલકોને તાકીદ કરી હતી.
રાજ્યમાં નિયમભંગ અને જાહેરનામા ભંગની વિગતો આપતા શિવાનંદ ઝાએ જણાવ્યું કે, રાજ્યમાં કુલ 153 ડ્રોન તેમજ સ્થાનિક સીસીટીવી દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ડ્રોનના ફૂટેજ પરથી નોંધાયેલા 398 ગુનામાં 368 લોકોની અટકાયત કરવામાં આવી છે. જ્યારે જાહેરનામા ભંગના કુલ 958 ગુના, ક્વૉરન્ટાઇન ભંગના 336 ગુના તેમજ અન્ય 30 ગુના મળી કુલ 1324 ગુના નોંધાયા હતા. જેના આધારે 2292 લોકોની આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી તેમજ 6959 વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા.