ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પચાસ ટકા ધારાસભ્યોને ટીકીટ નહીં આપવાની ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા જાહેરાત કરવામાં આવ્યા બાદ કેટલાક નેતાઓ સેલ્ફ ડેકલેરેશન કરીને ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી શકે છે. આવા નેતાઓની યાદીમાં અનેક સિનિયર અને વિવિધ રીતે સરકાર અને સંગઠનમાં હોદ્દા અને પદો મેળવનારા નેતાઓનો સમાવેશ થાય છે.
મહાનગરાપાલિકાની ચૂંટણીઓમાં ભાજપે નો-રિપીટ ફોર્મ્યુલા અપનાવી અને તેનો મબલખ ફાયદો ભાજપને મળ્યો છે. ભાજપની સામે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા અને આમ આદમી પાર્ટીની બૂરી વલે થઈ. આવા સંજોગોમાં આવનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ 182 સીટ અંકે કરવાનું નિર્ધાર્યું છે અને આના માટે ભાજપે સોશિયલ એન્જિનિયરીંગ પર વિશેષ ધ્યાન આપવાનું શરુ કર્યું છે.
ગુજરાતના બદલાતા રાજકારણની વાત કરીએ તો અગાઉ એવું હતું કે એક કે બે નેતાઓ દ્વારા સમાજોને હેન્ડલ કરવામાં આવતા હતા અને સમાજના નેતાઓ કહે તેમ સમાજના લોકો અને કાર્યકરો તે પ્રમાણે ચાલતા હતા. પરંતુ મોદી યુગના રાજકારણમાં વ્યક્તિગત નેતાઓના બદલે હવે સંસ્થાગત રાજકારણ આવ્યું છે. સંસ્થાઓ દ્વારા રાજકારણમાં કેવી રીતે ચાલવું તેવો નવો ચીલો પડ્યો છે.
ગુજરાતમાં અલગ અલગ સમાજની સામાજિક સંસ્થાઓનો ઉદય થયો છે. પાટીદાર, કોળી પટેલ, ઓબીસી, ઠાકોર, દલિત વગેરે સમાજોની સંસ્થાઓ હવે રાજકારણમાં સક્રીય થઈ છે. એવું જરુર કહેવું પડે છે કે સંસ્થાઓનો ઉપયોગ સામાજિક રીતે તો થાય જ છે પણ રાજકીય રીતે પણ થાય છે. સામાજિક સંસ્થાઓનો રાજકારણમાં પગપેસારો થઈ ગયો છે.
182 સીટ અંકે કરવા માટે ભાજપ દ્વારા 2022માં કેટલાક નેતાઓને સીધી રીતે ચૂંટણી નહીં લડવાનું ફરમાન જારી કરી શકાય છે અથવા તો તેમની પાસે સ્વેચ્છાએ ચૂંટણી નહીં લડવા માંગતા હોવાનું સેલ્ફ ડેકલેરેશન પણ કરવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે.