ગુજરાત કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણી પહેલા નવા માળખાની તૈયારી કરવામાં આવી રહી છે. હાલ તો એવું કહેવામા આવી રહ્યું છે કે સપ્તાહમાં કોંગ્રેસને નવા પ્રમુખ અને વિપક્ષી નેતા મળી જશે. ગુજરાતના પ્રભારી રઘુ શર્માએ દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે આ અંગે મસલતો કરી છે. કેટલાક નામો ચર્ચામાં જરુર આવી રહ્યા છે પણ તમામ નામોની સામે એક યા બીજી રીતે વાંધા-વચકા અને રજૂઆતો કરી નવી નિમણૂંકને ઢેબે ચઢાવવામાં આવી રહી છે. કોંગ્રેસ હાઈકમાન્ડ હજુ પણ અનિર્ણાયક્તાનો કેદી હોવાનું પ્રતિત થઈ રહ્યું છે.
ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ સતત કથળી રહી છે અને તેની પાછળ કોંગ્રેસ પોતાના મૂળભૂત સિદ્વાંતોથી છકી ગઈ હોવાનું જ્ઞાત થાય છે. કોંગ્રેસ પાસે નેતાઓની ફોજ છે પણ આ તમામ નેતાઓ પોત-પોતાની વાડાબંધી કરીને બેઠાં છે અને તેના પરિણામો કોંગ્રેસ ભોગવી રહી છે. કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસી કરતાં પણ પોતાની વાડાબંધીને દુરસ્ત અને તંદુરસ્ત રાખવામાં જ રચ્યા-પચ્યા રહેતા હોવાની છાપ છે. જ્યાં સુધી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો પોતાની જાતને કોંગ્રેસી તરીકે આત્મસાત નહીં કરી ત્યાં સુધી ગુજરાતમાં કોંગ્રેસની હાર થતી જ રહેવાની છે.
કોંગ્રેસે 2017માં ભલે સોફ્ટ હિન્દુત્વની લાઈન લીધી અને તેના પરિણામો પણ મળ્યા. આ વાત હવે ભૂતકાળ થઈ ગઈ છે. સામે પક્ષે ભાજપ 149 સીટનાં માધવસિંહ સોલંકીના રેકોર્ડને ભાંગવા મેદાને છે. માધવસિંહ સોલંકીના નામે 149 સીટનો રેકોર્ડ છે તો સાથો સાથ ગુજરાતમાં સૌથી ઓછી બેઠકો એટલે કે 32 સીટ મેળવવાનો રેકોર્ડ પણ છે. આ બન્ને રેકોર્ડ માધવસિંહ સોલંકીના નામે છે.
કોંગ્રેસ પોતાની સેક્યુલર વિચારધારાને લોકો સુધી નવેસરથી લઈ જવામાં નિષ્ફળ ગઈ છે. સોફ્ટ હિન્દુત્વ થકી કોંગ્રેસને ક્ષણિક લાભો જરુર મળ્યો છે પણ જ્ઞાતિ અને જાતિના રાજકારણમાં કોંગ્રેસની કમિટેડ વોટબેન્કો કોંગ્રેસથી દુરને દુર થતી રહી છે. સેક્યુલરીઝમ હોય કે સોફ્ટ હિન્દુત્વ હોય કોંગ્રેસે આ અંગે જેટલા કાર્યક્રમો આપવાના હતા તેટલા કાર્યક્રમો આપ્યા નથી. પ્રચાર કરવામાં કોંગ્રેસના નેતાઓ ઊણા ઉતરે છે. રાહુલ ગાંધીની વાતને છેક પાયાના કાર્યકર સુધી લાગુ કરવામાં કોંગ્રેસના નેતાઓ સક્રીય થયેલા જણાતા નથી.
ગુજરાત કોંગ્રેસને લાગે વળગે છે ત્યાં સુધી નવા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતા પાસે મોટા પડકારો રહેશે. ગુજરાતમાં કોંગ્રેસને સંગઠન સ્તરે બેઠી કરવા માટે માથે કફન બાંધીને નીકળવું પડશે. કોંગ્રેસને પણ ચેતનવંતા અને સતત લોક સંપર્ક રાખનારા, કાર્યકરો અને નેતાઓની વાત સાંભળનારા નેતાની જરુર છે. જો એમ નહીં થાય તો શોભાના ગાંઠીયા જેવા નેતાઓ ચૂંટણીમાં કોંગ્રેસનો દાટ જ વાળવાના છે એ નક્કી છે.