ગાંધીનગર— ગુજરાતમાં કોરોના સંક્રમણ અને લોકડાઉનના સમયમાં ગુજરાત સરકારની બે ક્વાર્ટરની આવકમાં 30 ટકાથી વધુ રકમનું ગાબડું પડે તેવી દહેશત નાણા વિભાગે વ્યક્ત કરી છે. સરકારની આવકમાં ઓછામાં ઓછા છ મહિના સુધી મોટો ડાઉનફોલ આવી શકે છે. સૌથી ચોંકાવનારી બાબત એવી છે કે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનું વેચાણ ઓછું થતાં સરકારને વેટની આવકમાં 5000 કરોડ રૂપિયાનો મોટો ઘટાડો થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજરાતની ઇકોનોમીને કેટલું નુકશાન થયું છે તે જાણવા માટે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ સર્વેક્ષણ શરૂ કરાવનું નક્કી કર્યું છે, બીજી તરફ રાજ્યના નાણા વિભાગે તેના ખોટના અંદાજોની ગણતરી કરવાનું નિયત કર્યું છે. નાણા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે કોરોનાના કારણે સરકારની તિજોરીને અકલ્પ્ય નુકશાન થવાનું છે.
ગુજરાતમાં કોરોના વાયરસના પગલે નવા નાણાકીય વર્ષના પ્રથમ બે ક્વાર્ટરમાં સરકારની આવકમાં મોટો ઘટાડો થાય તેવી સંભાવના છે. આ ઘટાડો સામાન્ય રીતે વેલ્યુ એડેડ ટેક્સ, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, જમીન મહેસૂલ, વાહનો પરનો કર, સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી, માલ અને ઉતારૂ પરનો કર, વીજળી પરનો વેરો અને મનોરંજન વેરાનો સમાવેશ થાય છે. રાજ્યનો જીડીપી પણ ગગડે તેવી શંકા વ્યક્ત કરવામાં આવી છે.
સમગ્ર વિશ્વ સાથે ગુજરાતમાં પણ જ્યારે કોરોનાનો કહેર સમાપ્ત થઇ જશે ત્યારે ઇકોનોમી તેમજ ગુજરાતને ફરીથી ધબકતું કરવા માટે રાજ્ય સરકાર પાસે નાણાંની ખેંચ પ્રવર્તે તેવો ભય સેવાઇ રહ્યો છે, જેની અસર બજેટની નાણાકીય આવકો પર પડશે. સરકારની કર સહિતની તમામ આવકોમાં ઘટાડો નોધાશે અને લોકોના જીવનધોરણને ઉંચુ લાવવા માટે વિવિધ પેકેજ આપવા પડશે.
નાણા વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે ગુજરાત સરકારના 2019-20નું બજેટ 31મી માર્ચે પૂર્ણ થયું છે ત્યારે અગાઉ શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી તે પ્રમાણે કેન્દ્રીય કરવેરામાં મળવાપાત્ર હિસ્સામાં રાજ્યને 5815 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે, જ્યારે રાજ્યના પોતાના કરવેરાની આવકમાં 1792 કરોડનું નુકશાન થયું છે. ગુજરાત માટે 2020નું વર્ષ અત્યંત ખરાબ સાબિત થયું છે. રાજ્યમાં વારંવાર કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને 15 થી 20 ટકાનું નુકશાન થયું છે. બીજી તરફ લોકડાઉનના કારણે ઉદ્યોગ-વ્યવસાયને કોરોનાના કારણે મોટો ફટકો પડ્યો છે.
નાણા વિભાગના અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતમાં સૌથી પ્રભાવિત એવા હીરા ઉદ્યોગ, કાપડ બજાર, રિયલ્ટી બિઝનેસ, મેન્યુફેક્ચરીંગ ક્ષેત્ર, ઓટો સેક્ટરની માઠી દશા જોવામાં આવી રહી છે. લોકોની ખરીદશક્તિ ઘટી હોવાથી સરકારના વિવિધ ટેક્સમાં મોટો ઘટાડો થતાં સરકારને બજાર લોન કે કેન્દ્રીય સહાય માટે હાથ લાંબા કરવા પડે તેવી સ્થિતિ આવીને ઉભી રહેશે. ગુજરાતમાં વેટની આવક 25000 કરોડ અંદાજવામાં આવી હતી પરંતુ ગયા વર્ષના બજેટમાં આ આવકમાં પહેલાથી જ 2115 કરોડનો ઘટાડો છે. આ વખતે કોરોનાના કારણે 3500 કરોડનું નુકશાન થઇ શકે છે. રિયલ એસ્ટેટ માર્કેટ ધરાશયી હોવાથી અગાઉના વર્ષમાં સ્ટેમ્પડ્યુટી અને રજીસ્ટ્રેશનની આવકમાં 500 કરોડનો ઘટાડો છે, જેમાં આ વર્ષે વધુ 800 કરોડનો ઘટાડો થઇ શકે છે.
ગુજરાતમાં વેલ્યુ એડેડ ટેક્સ ઉપરાંત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટીની આવક ગયા વર્ષે 48735 કરોડ રૂપિયા હતી તે ઘટીને આ વર્ષના બે ક્વાર્ટર્સમાં 3500 થી 4000 કરોડ ઘટે તેવી સંભાવના છે. ગુજરાતમાં વાહનકર 4500 કરોડ રૂપિયા હોય છે પરંતુ વાહનોનું વેચાણ ઘટતાં તેમાં 500 કરોડનો ઘડાડો થવાની સંભાવના છે. જમીન મહેસૂલમાં પણ 300 કરોડનો ઘટાડો નોંધાય તેમ મનાય છે. વીજળી પરના વેરામાં 50 કરોડથી વધુનું નુકશાન થવાનું નથી, કારણ કે તેમાં ગયા વર્ષની સરખામણીએ વધારો જોવા મળ્યો છે. રાજ્યની આબકારી આવકમાં કોઇ ફરક પડશે નહીં, જો કે રાજ્યની અન્ય આવકોમાં 700 કરોડનું ગાબડું પડી શકે છે.