ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે કોંગ્રેસના જનચેતના સમ્મેલનનુ આયોજન કરાયું હતું. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર નેતા વિપક્ષ સુખરામ રાઠવા સહિત ઉના રાજુલા અને તાલાલાના ધારાસભ્ય હાજર રહ્યા હતા. કાર્યક્રમ ચાલતો હતો તે પ્રસંગે કોઈ બનાવને લઇને તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે કોઈ વાતને લઈને તેની નારાજગી વ્યક્ત કરી હતી, અને નારાજગીને લઈને કોંગ્રેસમાં સભા સ્થળ પર ખુબજ ચહલ પહલ જોવા મળતી હતી.
વધુમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે મીડિયા સમક્ષ વાત કરતાં જણાવ્યું હતું કે, વર્ષ 2022 ની ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં ભાજપને પરાસ્ત કરવા માટે કોંગ્રેસ રણનીતિ બનાવી રહી છે. તેના ભાગરૂપે આજે ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે જનચેતના સંમેલનનું આયોજન કરાયું હતું. આ પ્રકારના સંમેલન પાછલા કેટલાક વર્ષોથી ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશ દ્વારા દિવાળીના સ્નેહમિલન પ્રસંગે કરવામાં આવતા હોય છે તે પરંપરા મુજબ આજનુ આ સંમેલન બોલાવવામાં આવ્યું હતું. આવનારા દિવસોમાં કોંગ્રેસનો સ્થાપના દિવસ આવી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં 2022ની ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઈને પક્ષના સંગઠનાત્મક કાર્યક્રમો કરવામાં આવશે અને સમગ્ર રણનીતિ અને સંગઠનાત્મક ફેરફારો અને નિયુક્તિ આગામી ૨૦૨૨ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાને રાખીને કોંગ્રેસ કરવા જઈ રહ્યું છે.
કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલ ભાજપને અભણ, લુખ્ખા અને ગુંડા લોકોની પાર્ટી ગણાવીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. આ સંમેલનમાં હાર્દિક પટેલે કાર્યકરોને જણાવ્યું હતું કે, ગુજરાત અને દેશમાંથી મોંઘવારી ઘટાડવી હોય બેરોજગારોને નોકરી કરતા જોવા હોય, ખેડૂતોને ઉન્નત કરવા હોય તો વર્ષ 2022માં આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પરાજિત કરવી અનિવાર્ય બની શકે તેને લઈને કોંગ્રેસનો પ્રત્યેક કાર્યકર પ્રત્યેક મતદાર સુધી ભાજપ સરકારની નિષ્ફળતાઓ લઇ જઇ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ બિલકુલ આસાનીથી જીતી શકે તેમ છે.
તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઇ બારડ કોઈ વાતને લઈને સ્ટેજ પર થોડા સમય માટે ઉગ્ર થતાં જોવા મળ્યા હતા ત્યારે સમગ્ર મામલો વધુ ઉગ્ર ન બને તેને લઈને કોંગ્રેસના અગ્રણી નેતાઓએ ભગવાનભાઇ બારડના વિરોધને લઇને સ્થળ પર જ સમાધાનકારી વલણ અપનાવીને જન ચેતના સંમેલનને આગળ ધપાવ્યુ હતુ. અમરીશ ડેરે સમગ્ર મામલાને લઈને ખુલાસો કર્યો હતો અને મીડિયાને જણાવ્યું હતું કે ભગવાનભાઈ બારડે પોતાની નારાજગી વ્યક્ત કરતા હતા તે વાત મંચ પરથી ભાષણ કરવાને લઈને જે પત્રિકા આપવામાં આવી હતી જેમા અવ્યવસ્થા હતી તેને લઈને ભગવાનભાઈ બારડે પ્રદેશ કક્ષાના નેતાઓની હાજરીમાં થતા કોઈ કાર્યક્રમનું સંચાલન અને તેની વ્યવસ્થા સુનિયોજિત થાય તે અંગે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.
સમગ્ર મામલાને લઈને રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરે મામલો માત્ર સ્ટેજ પરથી ભાષણને લઈને હતો, જેમાં થોડી અવ્યવસ્થા જોવા મળી હતી. જેને કારણે પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. પરંતુ ધારાસભ્ય ભગવાનભાઇ બારડને કોઈ નારાજગી ન હતી તેવો ખુલાસો ધારાસભ્ય અમરીશ ડેરે કર્યો હતો જેને લઇને સોમનાથ જિલ્લામાં કોંગ્રેસનો કકળાટનો મામલો સ્ટેજ પર જોવા મળ્યો હતો. તે હાલ પૂરતો શાત થયો હોય પ્રકારનું ખુલાસા નિવેદન રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરે આપ્યુ હતું.