શિયાળામાં સવારના 3 કલાક હૃદય રોગ અને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે જોખમકારક હોય છે. ઉનાળાની સરખામણીએ શિયાળામાં હાર્ટ અટેક થવાની સંભાવના 25% વધી જાય છે.
વધારે પડતો ચરબીયુક્ત ખોરાકનું સેવન કરવાથી લોહીમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ વધે છે અને તે હૃદયની ધમનીઓમાં એકઠું થવા લાગે છે. તેવી જ રીતે હૃદયની ધમનીઓમાં કેલ્શિયમ પણ એકઠું થાય છે. તેના લીધે હૃદયને પૂરતી માત્રામાં લોહી પહોંચતું નથી અને હૃદય રોગનું જોખમ વધે છે.
વધારે પડતી ઠંડીને લીધે હૃદય સાથે મગજ અને શરીરનાં અન્ય અંગોની ધમનીઓ સંકુચિત થાય છે. તેને લીધે લોહી પરિભ્રમણમાં અવરોધ પહોંચે છે અને લોહી જેલ સ્વરૂપે એકઠું થવા લાગે છે.શિયાળામાં ઠંડીને લીધે લોકો વ્યાયામ કરવાનું ટાળતા હોય છે અને ખોરાકમાં વધારે નમકીન અને ચટપટી વાનગીઓનું સેવન કરે છે. કેટલાક લોકોને શિયાળામાં વધારે ચા પીવાની પણ આદત હોય છે. તેના લીધે શરીરમાં બ્લડ પ્રેશર વધે છે. શિયાળામાં વાયુ પ્રદૂષણને લીધે હૃદયની કાર્યક્ષમતા પર અસર પડે છે. તેને લીધે હાર્ટ એટેક આવવાનું જોખમ વધી જાય છે.
ડોક્ટરની સલાહ અનુસાર દવા લેવી જોઈએ. વધારે સમય સુધી ઠંડાં વાતાવરણના સંપર્કમાં રહેવાનું ટાળવું જોઈએ. વજન પર નિયંત્રણ કરવું જોઈએ સાથે જ તણાવથી પણ દૂર રહેવું જોઈએ. ફળો અને લીલાં શાકભાજીનું ભરપૂર માત્રામાં સેવન કરવું જોઈએ. ભરપૂર માત્રામાં પાણીનું સેવન કરવું જોઈએ. સમયાંતરે ભોજન લેવું જોઈએ.