ગુજરાતમાં કોંગ્રેસના અદ્યપતનના પ્રારંભની ગાથા બહુ જૂની છે. ગુજરાતમાં કોંગ્રેસનો પનોતીકાળ અયોધ્યાની કાર સેવા પછી શરુ થયો અને આજદિન સુધી પૂર્ણ થયો નથી. ભૂતકાળમાં કોંગ્રેસે આઝાદીની લડાઈ લડી, દેશની બાગડોર સંભાળી, ઘણું-ઘણું કર્યું પણ ગુજરાતની વાત કરીએ તો કોંગ્રેસ નાની હોય કે મોટી હોય દરેક ચૂંટણીમાં હારની માનસિક્તા સાથે મેદાનમાં ઉતરે છે અને ભવ્ય રીતે હારે પણ છે.
ગુજરાત કોંગ્રેસ પર આક્ષેપ થયા કરે છે કે વર્ષોથી ભાજપ સાથે તારું-મારું સહિયારું કરીને ગાડું ગબડાવ્યું છે. ગુજરાતને ભાજપના હાથોમાં તાસક પર ભેટ ધરવાની વાત હવે નવી રહી નથી અને કોંગ્રેસની હારથી હવે લોકોમાં ઝાઝો શોક પણ દેખાતો નથી. અરે, ખુદ કોંગ્રેસના કાર્યકરોને પણ હારની શરમ નથી આવતી. મીડિયાવાળા કોંગ્રેસ માટે પિષ્ટપેષણ કરીને બે-પાંચ શબ્દો લખી નાંખે છે. કોંગ્રેસને અનેકાનેક સૂચનો અને ઠમઠોરે પણ છે પરંતુ કોંગ્રેસના નેતાઓનું પેટનું પાણી હાલતું નથી.
ચાણક્ય કહેવાતા અહેમદ પટેલ, માધવસિંહ સોલંકી, અમરસિંહ ચૌધરી અને શંકરસિંહ વાઘેલા જેવા નેતાઓ વર્ષોથી ગુજરાતમાં કોંગ્રેસને લીડ કરતાં હતા પણ ગુજરાત કોંગ્રેસ જીત તો દુર રહી વિપક્ષ તરીકે પણ હવે જીતવા માટે રીતસરના ફાંફા મારે છે. કોંગ્રેસ માટે આ એક મોટી વિડંબણા જ ગણવાની રહે છે.
કોંગ્રેસનો ભૂતકાળ ભલે ભવ્ય છે પણ વર્તમાન અને ભવિષ્ય કાળોધરો દેખાય છે. જૂથબંધી, ગોડફાધરીયા કલ્ચર, ટીકીટોમાં વ્હાલા-દવલાની નીતિ, હારી જાય તેવા ઉમેદવારોની પસંદગી, પૂર્વના ઉમેદવારને પશ્ચિમમાં અને દક્ષિણના ઉમેદવારને ઉત્તરની ટીકીટ આપવાની નીતિ, પોતાનો કક્કો ખરો કરવા માટે યેન કેન રીતે પાર્ટીમાં હરીફ ગણાતા નેતાઓ અને કાર્યકરોની કાપકૂપી કે વાઢકાવ વગેરે-વગેરે કારણો કોંગ્રેસને જડમૂળમાંથી ઉખેડી રહ્યા છે.
2017ની ચૂંટણીમાં ભરતસિંહ સોલંકી સોફ્ટ હિન્દુત્વની લાઈન લઈને આવ્યા, પાટીદાર. ક્ષત્રિય મતદારો, ઓબીસી મતદારોએ કોંગ્રેસને સત્તાની નજીક પહોંચાડી પણ સ્થિતિ એ આવીને ઉભી રહી ગઈ કે 82માંથી કોંગ્રેસના 63 ધારાસભ્યો રહી ગયા. વિપક્ષ તરીકે પણ ગુજરાતના લોકો કોંગ્રેસને સક્ષમ ગણી રહ્યા નથી અને એટલે જ તો આપ અને મીમ તરફ ગાડરીયો પ્રવાહ વહી રહ્યો છે.
આ ઉપરાંત લોકો સાથેનો કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોનો નાતો તૂટી ગયો છે. એટલે જ તો કારમી મોંઘવારી સહિત અનેક સળગતા મુદ્દા હોવા છતાં ગુજરાતમાં કોગ્રેસના પ્રદર્શન કે ધરણામાં લોકો જોડાતા નથી. માત્ર ગણ્યા-ગાંઠ્યા કોંગ્રેસના કાર્યકરો અને પોલીસનો કાફલો જ દેખાય છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાંથી અનેક નેતાઓ અને કાર્યકરો અન્યત્ર જવાના ભણકારા વાગી રહ્યા છે. કોંગ્રેસ ખાલી કરો અભિયાનની શરુઆત થવાની સંભાવના છે. કોંગ્રેસના નેતાઓ હજુ પણ કોગ્રેસી બનીને નેતાઓ અને કાર્યકરોને સાચવી લેવાની કોશીશ કરતા જણાઈ આવી રહ્યા નથી.
ગુજરાતમાં સતત હારથી કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ નિરાશ. હતાશ અને નિષ્ક્રીય થઈ ગયા છે. કાર્યકરોની હતાશાને દુર કરવા માટે કોઈ આયોજન દેખાતું નથી. કેટલાક ચોક્કસ નેતાઓ વર્ષોથી કોંગ્રેસમાં જામી પડ્યા છે અને તેઓ પણ હાર્યા છે તેમના કહેવાથી ટીકીટો આપવામાં આવી છે તેવા લોકો પણ હાર્યા હોવા છતાં તમામને શિરપાવ આપવામાં આવે છે અને આના કારણે કોંગ્રેસ માટે સતત સક્રીય રહેતા નેતાઓ અને કાર્યકરો નિષ્ક્રીય થઈને કોંગ્રેસથી દુર થતા રહ્યા છે. આ પ્રવાહ આવનાર દિવસોમાં પણ જોવા મળે તો નવાઈ પામવા જેવું રહેશે નહીં.