ગાંધીનગર- ગુજરાતમાં સિંહો કેટલા વધ્યાં અને ક્યા ક્યા વિસ્તારમાં ફેલાયેલા છે. બાળ સિંહો અને માદા સિંહ કેટલા છે. પાંચ વર્ષમાં સિંહોની સંખ્યામાં કેટલો ફરક પડ્યો છે તેવા સવાલોના જવાબ હવે ગુજરાત સરકાર નહીં આપી શકે, કેમ કે સરકારે સિંહોની ગણતરી કરવાનો કાર્યક્રમ મોકુફ રાખ્યો છે. અત્યારે રાજ્યના તમામ સિંહોની મેડીકલ તપાસ માટે વિવિધ ટીમો જંગલોમાં ફરી રહી છે.
રાજ્યના વન વિભાગના અધિક મુખ્યસચિવ રાજીવ ગુપ્તાએ કહ્યું હતું કે સિંહોની ગણતરી ક્યારે કરવામાં આવશે તે વન વિભાગની આગામી બેઠકમાં નક્કી કરવામાં આવશે. તેમણે કહ્યું હતું ક અત્યારે પ્રાયોરિટી કોરોના વાયરસના વધતા જતા સંક્રમણને અટકાવવી છે. જંગલ વિભાગના કર્મચારીઓ પણ કોરોના સામેની લડાઇમાં સામેલ થયાં છે. અમે રાજ્યના વિવિધ અભ્યારણ્યોમાં વસેલા જંગલી પ્રાણીઓની સલામતી માટે પણ કાર્ય કરી રહ્યાં છીએ.
ગુજરાતમાં સિંહોની ગણતરી કરવાનો કાર્યક્રમ મે મહિનામાં થવાનો હતો પરંતુ હવે કોરોના વાયરસના સંક્રમણના કારણે સિંહોની ગણતરી કરવામાં નહીં આવે તેવું રાજ્ય ફોરેસ્ટ વિભાગના અધિકારીએ કહ્યું છે. તેમણે કહ્યું છે કે સિંહોની ગણતરીનો કાર્યક્રમ હાલ પુરતો મોકુફ રાખવામાં આવ્યો છે. વગુજરાત વાઇલ્ડ લાઇફ બોર્ડની 18મી બેઠકમાં મે 2020માં સિંહોની વસતી ગણતરીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સના ઉપયોગથી પ્રથમવાર સાયન્ટીફિક એપ્રોચ કરવામાં આવનાર હતો.
રાજ્યમાં દર પાંચ વર્ષે સિંહોની ગણતરી કરવામાં આવે છે. છેલ્લે મે 2015માં વસતી ગણતરી કરવામાં આવી હતી અને તે સમયે રાજ્યમાં 523 સિંહો હતા. આ વખતે એવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું કે ગુજરાતમાં સિંહોની સંખ્યા 1000ને પાર કરી જશે.
2015માં જુનાગઢ જિલ્લામાં 268 સિંહ, ગીર સોમનાથ જિલ્લામાં 44 સિંહ, અમરેલી જિલ્લામાં 174 સિંહ અને ભાવનગર જિલ્લામાં 37 સિંહ નોંધાયા હતા. દર પાંચ વર્ષે સિંહની વસ્તીગણતરી થતી હોય છે ત્યારે હવે મે 2020માં ગુજરાતમાં સિંહોની વસ્તીગણતરી હાથ ધરવાની થતી હતી પરંતુ કોરોના વાયરસના સંક્રમણના કારણે સિંહોની ગણતરી મોકુફ રાખવામાં આવી છે.
સિંહોની ગણતરી હવે ક્યારે કરવામાં આવશે તેવા એક સવાલના જવાબમાં વન વિભાગના અધિકારીએ કહ્યું હતું કે અત્યારે ગુજરાત સરકારનું વહીવટી તંત્ર કોરોના વાયરસના સંક્રમણ સામે કામ કરી રહ્યું છે ત્યારે ગણતરીનો સમય હજી નિશ્ચિત કરવામાં આવ્યો નથી.