ચાર ધામમાંથી એક બદ્રીનાથ ધામના કપાટ ગુરૂવાર, 30 એપ્રિલે સવારે 4.30 વાગ્યે દર્શનાર્થિઓ માટે ખોલવામાં આવશે. બદરી નારાયણ મંદિર જેને બદ્રીનાથ પણ કહેવામાં આવે છે. આ તીર્થ ઉત્તરાખંડમાં અલકનંદા નદીના કિનારે નીલકંઠ પર્વત ઉપર સ્થિત છે. ભગવાન વિષ્ણુને સમર્પિત આ મંદિર આદિગુરૂ શંકરાચાર્ય દ્વારા ચાર ધામમાંથી એક ધામ સ્વરૂપે સ્થાપિત કરવામાં આવ્યું હતું. બદ્રીનાથ મંદિર ત્રણ ભાગમાં વિભાજિત છે, ગર્ભગૃહ, દર્શનમંડપ અને સભામંડપ. બદ્રીનાથ પાસે જ ગંગૌત્રી અને યમનૌત્રી ધામ પણ છે. આ બંને ધામ શનિવાર, 26 એપ્રિલે ખોલવામાં આવશે. આ વર્ષે 30 એપ્રિલે વૈશાખ મહિનાના સુદ પક્ષની સાતમ છે. આ તિથિએ ગંગા સપ્તમી ઉજવવામાં આવે છે. માન્યતા છે કે, ગંગા સપ્તમીએ જ દેવી ગંગા પૃથ્વી ઉપર આવ્યા હતા. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને ગુરૂ પુષ્ય નક્ષત્ર પણ રહેશે. ગુરૂ પુષ્ય નક્ષત્રનું મહત્ત્વ અખાત્રીજ સમાન છે, આ યોગમાં શરૂ કરેલાં પૂજાપાઠ અને અન્ય કાર્યોમાં સફળતા મળવાના યોગ વધી શકે છે. આ પહેલાં 28 એપ્રિલે આદિગુરૂ શંકરાચાર્યની જયંતી છે. આ વર્ષે સોમવાર, 26 ઓક્ટોબર એટલે વિજયાદશમીએ મંદિરના કપાટ બંધ થવાની તારીખ ઘોષિત કરવામાં આવશે. આદિગુરૂ શંકરાચાર્ય દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી વ્યવસ્થા પ્રમાણે બદ્રીનાથ મંદિરના મુખ્ય પૂજારી દક્ષિણ ભારત કેરળ રાજ્યના હોય છે. મંદિર દર વર્ષે એપ્રિલ-મે થી ઓક્ટોબર-નવેમ્બર સુધી દર્શન માટે ખુલ્લું રહે છે.