કોરોના મહામારીના કારણે લોકડાઉન લાગુ કરવામાં આવતા 51 દિવસથી પોતાના ઘરોમાં પુરાયેલા લોકોની માનસિક સ્થિતિ વિચલિત થવા લાગી છે. વિચિત્ર પ્રકારના ડર, ભવિષ્યની અસ્થિરતા, તણાવ અને વિચિત્ર ચિંતાને લઈ લોકો એટલી હદે હતાશ થઈ ગયા છે કે, તેમના મનમાં આત્મહત્યા કરી લેવાના વિચારો ઘેરાવા લાગ્યા છે.
હરિયાણા સ્વાસ્થ્ય વિભાગના મેન્ટલ હેલ્થ ડિવિઝને કરેલા એક સર્વેમાં આ પ્રકારનો ખુલાસો થયો છે. આ સર્વે રિપોર્ટ જોઈને હેલ્થ ડિપાર્ટમેન્ટ સતર્ક થઈ ગયું છે અને સાથે જ લોકોની હતાશા દૂર કરવા કમર કસી લેવાઈ છે.
હરિયાણા સરકારના આદેશો બાદ સ્વાસ્થ્ય વિભાગના મેન્ટલ હેલ્થ ડિવિઝને હતાશ લોકોની મદદ અને તેમનું કાઉન્સેલિંગ કરવા 211 સ્વાસ્થ્ય નિષ્ણાંતો અને સ્વૈચ્છિક વોલેન્ટિયર્સની ટીમને મેદાનમાં ઉતારી છે. મેન્ટલ હેલ્થ સર્વિસના ડિરેક્ટર અને સ્ટેટ પ્રોગ્રામ ઓફિસર ડો. વીણા સિંહના નેતૃત્વમાં આ ટીમ એક સ્ટેટ હેલ્પલાઈન નંબર 1057 સાથે કામમાં જોતરાઈ છે.