ગુજરાત અને હિમાચલમાં થનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ જીએસટી અને નોટબંધી જેવા મુદ્દાઓને એજન્ડા બનાવીને ચૂંટણી પ્રચાર કરી રહી છે. આ રણનીતિ અંતર્ગત ગુજરાતની દરેક રેલીમાં કોંગ્રેસ આ મુદ્દા પર વાત કરી રહી છે. આ બાબતે ચર્ચા કરવા માટે પૂર્વ નાણાંમંત્રીઓને પણ આમંત્રણ મોકલી રહી છે. ચિદંબરમ, યશવંત સિન્હા પછી હવે પૂર્વ પડાપ્રધાન મનમોહન સિંહ પણ ગુજરાતમાં એક દિવસીય મુલાકાત લઈ શકે છે.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ ગુજરાતમાં એક દિવસ માટે પ્રચાર કરશે. મનમોહન સિંહ મંગળવારના એટલેકે આવતી કાલે અમદાવાદ સ્થિત કોંગ્રેસ મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. અહીં તે જીએસટીની અસર અને નોટબંધી પર પોતાનો પક્ષ મુકશે. તે આ મુદ્દા પર પહેલા પણ સરકારનો વિરોધ કરી ચુક્યા છે.
8મી નવેમ્બરના રોજ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી નોટબંધીના વિરોધમાં બ્લેક ડે મનાવશે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષની પાર્ટીઓ 8 નવેમ્બરને બ્લેક દિવસ માનીને નોટબંધીનો વિરોધ કરશે. આ સિવાય જીએસટી પર પણ નિશાન સાધવામાં આવશે. માનવામાં આવે છે કે જીએસટીને કારણે ગુજરાતના વેપારીઓને ઘણું નુકસાન થયું છે.