ગાંધીનગર- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાત્રે નવ કલાકે ઘરની લાઇટો બંધ કરી દીપ પ્રગટાવવાની કરેલી અપીલ પછી રાજ્ય સરકારે લોકોને ચેતવણી આપી છે કે રાત્રે દીપ જલાવ્યા પછી માર્ગો પર કોઇએ રેલી કાઢી તો તેમની સામે લોકડાઉનના કાયદાની કલમો પ્રમાણે ગુનો નોંધી કાર્યવાહી કરાશે. રાજ્યની પોલીસે પણ લોકોને ચેતવણી આપી છે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે લોકડાઉનનો અમલ કરીને નાગરિકોએ ઘરના આંગણે કે બાલ્કનીમાં રહીને સોશ્યલ ડિસ્ટન્સ સાથે દીપ પ્રગટાવવાનો છે. સરઘસ કે રેલી કાઢીને બહાર નહીં નિકળવાની તેમણે લોકોને અપીલ કરી છે.
નીતિન પટેલે કહ્યું હતું કે આવતીકાલ (રવિવાર) એ રાત્રીના નવ કલાકથી નવ મિનિટ માટે લાઈટો બંધ કરવા જણાવાયું છે, તે સંદર્ભે દેશમાં એક સાથે લાઈટો બંધ થાય તો ગ્રીડમાં ભંગાણ પડે તેવી સ્થિતિ ન સર્જાય તે માટે પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.
નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે આ સમયે રાજ્યના બધા જ મહાનગરો, નગરોમાં સ્ટ્રીટલાઈટો ચાલુ રહેશે. એ જ રીતે ખેડૂતોને સિંચાઈની સુવિધા પૂરી પાડવા પૂરી પાડવામાં આપવામાં આવતો વીજ પુરવઠો, હોસ્પિટલો, જીવન જરૂરી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓમાં પણ વીજ પુરવઠો યથાવત રહેશે. એટલે નાગરિકોએ ખોટી અફવાઓથી ગેરમાર્ગે દોરાવાની જરૂર નથી.