ગાંધીનગર ગુજરાતમાં ચલણી નોટોનું ચલણ વધી રહ્યું છે. વેપારીઓ ચલણી નોટો જ આગ્રહ રાખે છે જે તેના માટે અને ગ્રાહક માટે અત્યંત જોખમી છે. ઓનલાઇન પેમેન્ટ કરવાનો ભારતીય રીઝર્વે બેન્કનો આદેશ ગુજરાતના વેપારીઓ માનતા નથી. તેઓ દલીલમાં એવું કહે છે કે અમારા જથ્થાબંધ ડીલરો ઓનલાઇન પેમેન્ટ સ્વિકારતા નથી તેથી અમને ચીજવસ્તુ મળતી નથી.
ભારતમાં ઇ-પેમેન્ટનો જમાનો છે. શાકભાજીવાળા પણ હવે તો ઓનલાઇન પેમેન્ટ સ્વિકારી રહ્યાં છે પરંતુ કરિયાણાની દુકાનોના સંચાલકો માનવા તૈયાર નથી. દેશમા મોલ કલ્ચર અને ઓનલાઇન પેમેન્ટનો યુગ શરૂ થયો છે પરંતુ કરિયાણાની દુકાનોના સંચાલકો આટલી મોટી ઠોકર વાગવા છતાં સુધરવા તૈયાર નથી. પ્રત્યેક માર્કેટમાં કરિયાણાની દુકાનો પર પાટીયા લગાવી દેવાયા છે કે અહીં રોકડા રૂપિયા આપીને વસ્તુ લઇ જાવ, રોકડા નહીં હોય તો વસ્તુ નહીં મળે.
મોટા શહેરોમાં ગ્રાહકોને દુકાનદારો સાથે ઘર્ષણના બનાવો બની રહ્યાં છે. ભારતીય રીઝર્વ બેન્કની ગાઇડલાઇનને અનુસરવા ગ્રાહકો તૈયાર છે પરંતુ વેપારીઓ તેમની જૂની આદતો બદલી શકતા નથી. હવે જ્યારે 20મી એપ્રિલથી મોલ્સ અને શોપીંગ સેન્ટરોમાં ઓનલાઇન ખરીદી શરૂ થશે ત્યારે કરિયાણાની દુકાનના સંચાલકોનો ધંધો ચોપટ થવાની સંભાવના છે.
લોકડાઉનના સમયમાં અમદાવાદ જેવા શહેરમાં રોજના 100થી વધુ બનાવો એવા બને છે કે ઓનલાઇન પેમેન્ટનો આગ્રહ રાખતા ગ્રાહકો અને રોકડા રૂપિયા માગતા દુકાનદારો વચ્ચે ઘર્ષણ થાય છે. કેટલીક જગ્યાએ મારામારીના બનાવો બને છે. એક તરફ બેન્કમાંથી પરચૂરણ નોટો મળતી નથી અને ગ્રાહકોને એટીએમમાં 100 રૂપિયાથી નીચેના દરની નોટ મળતી નથી ત્યારે વેપારીઓની જીદ તેમના વ્યવસાયને ચોપટ કરી શકે તેમ છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓનલાઇન પેમેન્ટના હિમાયતી છે. કોરોના સંક્રમણના સમયમાં રોકડો વ્યવહાર બંધ કરવા તેમણે પણ લોકોને અપીલ કરી છે. ચોંકાવનારી બાબત તો એવી સામે આવી છે કે ચલણી નોટ પર વાયરસ ચાર દિવસ સુધી જીવતો હોય છે. શહેરોના નાના વેપારીઓને આની સમજ ઓછી લાગે છે. તેમણે જથ્થાબંધ વ્યાપારીઓને કહેવું જોઇએ કે ગ્રાહકો ઓનલાઇન પેમેન્ટ આપી રહ્યાં છે તેથી તમે પણ ઓનલાઇન પેમેન્ટથી અમને ચીજવસ્તુઓ આપો. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગર જેવા શહેરોમાં ધીમે ધીમે કરિયાણાના વેપારીઓએ ઓનલાઇન પેમેન્ટ લેવાનું બંધ કર્યું છે જે તેમના માટે જોખમી છે.
કોરોનાવાયરસની પહોંચથી ચલણ, બેંક નોટ અને સિક્કા પણ દૂર નથી. નાના કારોબારીઓની સંસ્થા કેટનું કહેવું છે કે, આ કારણોસર પણ કોરોના વાયરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી પહોંચી શકે છે. અગાઉ વિશ્વ આરોગ્ય સંસ્થા પણ આવી ચેતવણી આપી ચુકી છે. તેણે જણાવ્યું કે, બેંક નોટો કોરોનો વાયરસ ફેલાવી શકે છે, તેથી લોકોએ તેના બદલે સંપર્ક વિનાની ચુકવણી પદ્ધતિઓનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે (કેટ) કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણને લખેલા પત્રમાં લખ્યું છે કે, કોરોના વાયરસ ફેલાવાનું શંકાસ્પદ કારણ બેંક નોટો પણ બની શકે છે. દેશના સાત કરોડ નાના વેપારીઓનું પ્રતિનિધિત્વ કરતી આ સંસ્થાએ ગત માર્ચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી ભારત પોલિમર ચલણ અપનાવવા તરફ આગળ વધે, તેવી વિનંતી કરી હતી.