શનિવાર, 17 ઓક્ટોબરથી દેવી પૂજાનો નવ દિવસનો પર્વ નવરાત્રિ શરૂ થઇ રહ્યો છે. આ પર્વ 25 ઓક્ટોબર સુધી રહેશે. આ વખતે નવરાત્રિની શરૂઆતમાં 17 તારીખે જ સૂર્યનું રાશિ પરિવર્તન પણ થશે. સૂર્ય તુલામાં પ્રવેશ કરશે. તુલા રાશિમાં પહેલાંથી વક્રી બુધ પણ રહેશે. આ કારણે બુધ-આદિત્ય યોગ બનશે. સાથે જ, 58 વર્ષ પછી શનિ-ગુરુનો પણ દુર્લભ યોગ બની રહ્યો છે. આ નવરાત્રિમાં શનિ મકરમાં અને ગુરુ ધન રાશિમાં રહેશે. આ બંને ગ્રહ 58 વર્ષ પછી નવરાત્રિમાં એકસાથે પોત-પોતાની રાશિમાં સ્થિત રહેશે. 2020 પહેલાં 1962માં આ યોગ બન્યો હતો. તે સમયે 29 સપ્ટેમ્બરથી નવરાત્રિ શરૂ થઇ હતી. આ વર્ષે નવરાત્રિ નવે-નવ દિવસ રહેશે. આ દિવસે સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરીને નીચનો થઇ જશે. 17 તારીખે બુધ અને ચંદ્ર પણ તુલા રાશિમાં રહેશે. ચંદ્ર 18 તારીખે વૃશ્ચિકમાં પ્રવેશ કરશે. પરંતુ સૂર્ય-બુધનો બુધાદિત્ય યોગ નવરાત્રિના નવે-નવ દિવસ રહેશે. શનિવારથી નવરાત્રિ શરૂ થવાથી આ વર્ષે દેવીનું વાહન ઘોડો રહેશે. નવરાત્રિ જે વારથી શરૂ થાય છે, તેના પ્રમાણે દેવીનું વાહન હોય છે. જો નવરાત્રિ સોમવાર કે રવિવારથી શરૂ થતી હોય તો દેવીનું વાહન હાથી રહે છે. શનિવાર અને મંગળવારથી નવરાત્રિ શરૂ થાય તો વાહન ઘોડો રહે છે. ગુરુવાર અને શુક્રવારથી નવરાત્રિ શરૂ થાય તો દેવી ડોલીમાં સવાર થઇને આવે છે. બુધવારથી નવરાત્રિ શરૂ થાય તો દેવીનું વાહન હોડી રહે છે.
Friday, May 17