મુંબઈના જાણીતા પેઇન્ટર, ફોટોગ્રાફર તથા આર્ટિસ્ટ રામ ઈન્દ્રનીલ કામતનો પાર્થિવ દેહ 19 ઓગસ્ટની રાત્રે તેમના માટુંગા સ્થિત ફ્લેટના બાથટબ માંથી મળી આવ્યો હતો.પોલીસ આ કેસની શરૂઆતની તપાસ સુસાઈડ કેસ તરીકે જ કરશે.
41 વર્ષીય રામ કામત છેલ્લાં ઘણાં સમયથી તણાવમાં હતો અને લૉકડાઉનને કારણે તેની હાલત વધુ ખરાબ થઈ હતી. તે શંકર મથમ રોડ પર પાલી હાઉસમાં પોતાની માતા તથા બહેન સાથે રહેતો હતો. પોલીસે રામ ઈન્દ્રનીલના પરિવાર તથા નિકટના સાથીઓની પૂછપરછ કરી છે.
ઘટના સ્થળ પરથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. આ નોટમાં મોત માટે કોઈને પણ જવાબદાર ગણાવ્યા નથી. તેમજ કામતનું મોત ઝેર ખાવાથી થયું કે અન્ય કોઈ રીતે તે હજી સુધી સ્પષ્ટ થયું નથી. પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવ્યા બાદ તેની પુષ્ટિ કરવામાં આવશે.
માતાએ પોલીસને પૂછપરછ દરમિયાન કહ્યું હતું, 19 ઓગસ્ટ સાંજે રામ ઈન્દ્રનીલ ન્હાવા માટે બાથરૂમ ગયો હતો અને કલાકો સુધી બહાર આવ્યો નહોતો. ત્યારબાદ તેમને શંકા જતા તેમણે બાજુમાં રહેતા લોકોને બોલાવ્યા અને દરવાજો તોડ્યો હતો. કામત બાથટબમાં બેભાન હતો. પરિવાર તરત જ રામ ઈન્દ્રનીલને સાયન હોસ્પિટલ લઈ ગયો હતો. અહીંયા ડૉક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો.