રાજયમાં વિધાનસભાની ચૂંટણીનો ગરમાવો જામ્યો છે ત્યારે નેતાઓ બેફામ વાણીવિલાસ કરી રહયાં છે. અમદાવાદના સાંસદ અને અભિનેતા પરેશ રાવલને ભરૂચ જિલ્લાના રાજપુત સમાજે દરબારી મિજાજનો પરચો આપી દીધો છે. રાજકોટમાં ભાજપના કાર્યાલયના ઉદઘાટન દરિયાન તેમણે રાજા રજવાડાઓની સરખામણી વાંદરા સાથે કરતાં રાજપુતોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. જંબુસરમાં સભાને સંબોધવા આવેલા પરેશ રાવલને ટંકારી ભાગોળ ખાતે સમાજના યુવાનોએ ઘેરી લેતા તેમને બે હાથ જોડી માફી માંગવી પડી હતી. ભરૂચમાં અભિનેતાનો વિરોધ કરવા જઇ રહેલાં 15થી વધારે રાજપુત યુવાનોની પોલીસે અટકાયત કરી લીધી હતી.
ભાજપના સાંસદ અને અભિનેતા પરેશ રાવલે રાજકોટમાં રાજા રજવાડાઓની સરખામણી વાંદરાઓ સાથે કરતાં વિવાદ થયો હતો. તેમના નિવેદન સામે રાજપુત સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. કરણીસેનાએ પરેશ રાવલના વિરોધ કરવાની જાહેરાત કરી હતી. રવિવારે પરેશ રાવલને ભરૂચના રાજપુતોએ અસલ દરબારી મિજાજના દર્શન કરાવી દીધાં હતાં. બુસરના ટંકારી ભાગોળ ખાતે રાજપુત યુવાનોએ પરેશ રાવલ ઉપર હુમલો કર્યો હતો. યુવાનોનો મિજાજ પારખીને પરેશ રાવલને બે હાથ જોડી માફી માંગવી પડી હતી. ભરૂચ શહેરમાં પરેશ રાવલની સભાનો વિરોધ કરવા જઇ રહેલાં રાજપુત સમાજના 15થી વધારે યુવાનોની પોલીસે અટકાયત કરી લીધી હતી.તેમણે જણાવ્યું હતું કે, રાજપુત સમાજ માટે મને ગર્વ છે. મારા મોં માંથી તે દિવસે શું નીકળી ગયું તેની મને ખબર નથી. સમાજના માતા, બહેનો અને ભાઇઓની હું માફી માંગું છું. પરેશ રાવલે સ્ટેજ પરથી જાહેરમાં માફી માંગી હતી અને દિલગીરી વ્યક્ત કરી હતી.
પરેશ રાવલની ભરૂચમાં યોજાયેલી સભામાં રાજપુત યુવાનો દ્વારા વિરોધ થાય તેવી શક્યતાઓને સંભાવનાને જોઇને તેમણે સંબોધીને જણાવ્યું હતું કે, ગઇકાલે આવી જ એક સ્પિચમાં મે રાજપુત સમાજની લાગણી દુભાય તેવો શબ્દ ઉચ્ચાર્યો હતો. જોકે એ શબ્દ મેં તેમના માટે નહતો કર્યો, કારણ કે હું મુરખ નથી કે આવી વીર કોમ માટે આવો શબ્દ બોલું જોકે એ શબ્દ હૈદરાબાદના નિઝામ માટે તે શબ્દ બોલ્યો હતો. પરંતુ તેમની ભાવનાને ઠેસ પહોંચતાં તેમણે તેના માટે સ્ટેજ પરથી જાહેરમાં માફી દિલગીરી વ્યક્ત કરી હતી.