ગુજરાત ભાજપમાં કાંઈક ગુપ્ત ગડમથલ ચાલી રહી હોય તેમ જણાય છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની વધતી જતી લોકપ્રિયતા અંગે ચર્ચા કરી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. પાટીદારોના પ્રવાહને આપ તરફ વધુ વહેતો જોઈને ભાજપ નવેસરથી રણનીતિ બનાવી રહ્યું છે. હાલ તો બધા યુપીની ચૂંટણી માટે કામે લાગ્યા છે અને ગુજરાતના પોણી બસો કાર્યકરો યુપીમાં પ્રચાર માટે જવાના છે ત્યાર બાદ ગુજરાત ચૂંટણી માટે કમર કસવામાં આવશે એમ મનાય છે, પણ તે પહેલાં ગુજરાતમાં ભાજપ ડેમેજ કન્ટ્રોલ પણ કરી રહ્યું છે.
નરેશ પટેલે ‘પાટીદાર મુખ્યમંત્રી’ની વાત કર્યા પછી ભાજપમાં પણ આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પાટીદાર પાવરને અંકે કરવા સૂચના આપવામાં આવી હોવાની ચર્ચા છે. એટલું જ નહીં, પાટીદારોનો પ્રવાહ આમ આદમી પાર્ટી તરફ જતો અટકાવવા માટે પણ ભાજપના અનેક પાટીદાર નેતાઓને પાર્ટી તરફથી ગુપ્ત રીતે વિશેષ જવાબદારી સોંપાઈ રહી હોવાની પણ ચર્ચા છે. એવું પણ કહેવાય છે કે ભાજપ પણ ચતૂરાઈભરી ચાલ ચાલી રહ્યું છે.
બીજી તરફ કોંગ્રેસ માટે પાટીદારો માથાનો દુખાવો બનતા રહ્યા છે. ભાજપની કમિટેડ વોટબેંક ગણાતા પાટીદારોનો ઝોક આપ તરફ વધતા ભાજપ માટે ચિંતા તો છે પણ કોંગ્રેસ માટે પણ પળોજણ ઉભી થવાની છે. પાટીદારો ગિન્નાતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા હતા અને જો આ જ સ્થિતિ રહી તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ એક પણ સીટ જીતી શકશે નહીં.
પાટીદાર પાવરના કારણે જ ભાજપે મુખ્યમંત્રી પદે ભૂપેન્દ્ર પટેલને બેસાડ્યા છે. ભાજપને પટેલ વિના ચાલે નહીં એ રાજકીય ઉક્તિ અહીં સાર્થક થતી જણાય છે. નીતિન પટેલને પડતા મૂકાયા તો પાટીદારને ફરી કમાન આપી ભાજપે 2022 પહેલાં સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે પાટીદારોને ભાજપ સાથે લઈને ચાલશે.
ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ પાટીદાર સમાજની રાજકીય ઘટનાઓ પર નજર રાખીને બેઠાં છે. જોકે, હાલના સમયમાં આપ દ્વારા આક્રમકતામાં ઘટાડો નોંધાયો છે એ પણ નોંધ લેવા જેવી બાબત છે. કોંગ્રેસે નરેશ પટેલનો કાર્ડ ખૂલ્લો કર્યો છે. નરેશ પટેલ દૂધ, દહીં અને છાશ એમ ત્રણેયમાં પગ મૂકી શકે છે અને રાજકારણમાં જોડાશે કે કેમ તેના પણ રહસ્ય છે.