પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટના રોજ ભારતીય ઓલિમ્પિક ટુકડીને ખાસ મહેમાન તરીકે લાલ કિલ્લા પર આમંત્રિત કરશે જ્યારે તેઓ આ વર્ષે સ્વતંત્રતા દિવસ પર સતત આઠમું ભાષણ આપશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ સત્તાવાર સૂત્રોને ટાંકીને કહ્યું કે વડાપ્રધાન મોદી તેમને તેમના નિવાસસ્થાને પણ આમંત્રણ આપશે અને તેમની સાથે વાત કરશે.
120 થી વધુ ખેલાડીઓ સહિત 228 લોકોની ટુકડી ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે. મોદી નિયમિતપણે ટીમને પ્રોત્સાહિત કરે છે અને ઘણા ખેલાડીઓ સાથે વાતચીત કરે છે.
આ પહેલા 3 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રીએ ઓલિમ્પિક રમતોમાં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓના પ્રયાસોની પ્રશંસા કરી હતી. એમ પણ કહ્યું કે આ વખતેની મોટાભાગની રમતોમાં ભારતીય ખેલાડીઓએ હિસ્સો લીધો છે.
તમને જણાવી દઈએ કે પીએમ મોદી ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓની મેચ પર મીટ માંડીને બેઠા છે. પીએમ મોદીએ મંગળવારે પુરુષ હોકી ટીમની સેમીફાઇનલ મેચ નિહાળી હતી. તેમણે ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી હતી. જોકે, ભારત આ મેચ બેલ્જિયમ સામે 2-5થી હારી ગયું હતું.
હાર બાદ પીએમએ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ સાથે વાત કરી. પીએમે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ટીમ ઇન્ડિયાની સારી રમતની પ્રશંસા કરી અને આગામી મેચ માટે તેમને શુભેચ્છા પાઠવી.
ભારતે અત્યાર સુધીમાં ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યો છે, જ્યારે પુરુષ અને મહિલા હોકી ટીમો મેડલની રેસમાં છે. આ સિવાય મહિલા મુક્કેબાજ લવલીના બોરગોહેને પણ સેમિફાઇનલમાં પહોંચીને મેડલ મેળવ્યો છે.
મીરાબાઈ ચાનુએ 24 જુલાઈએ વેઈટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતીને ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું મેડલ ખાતું ખોલ્યું હતું. તે પછી 1 ઓગસ્ટે પીવી સિંધુએ બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.