ગુજરાતના નાગરિક ઉડ્ડયન પ્રધાન પૂર્ણેશ મોદી દ્વારા અમદાવાદ એરપોર્ટ ખાતે આંતરરાજ્ય હવાઇ સેવાઓનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્લેન પ્રારંભમાં અમરેલી-અમદાવાદ-રાજકોટ અને ભાવનગર વચ્ચે સેવાઓ આપશે. ગુજરાત સરકારના ગુજસેલના સહયોગથી ખાનગી કંપની દ્વારા આ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ સેવાની દરરોજ ફ્લાઇટ રહેશે, જેની શરૂઆતની ટિકિટ 1,999 રૂપિયા રહેશે. આ સેવાને સારો પ્રતિસાદ મળશે તો તે પ્રમાણે વધુ એરક્રાફ્ટ લાવવામાં આવશે અને રાજ્યના બીજા શહેરોની સાથે પણ જોડાશે. આ પ્લેન 09 સીટર રહેશે. શરૂ કરાયેલી સેવાઓમાં એક શહેરથી બીજા શહેર સુધી પહોંચવા 30 મિનિટથી લઈને એક કલાકનો સમય લાગશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના શહેરોને આ સેવા દ્વારા જોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
રાજ્યના ઉડ્ડયન પ્રધાન પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ઝડપી ટ્રાવેલિંગ માટે એર કનેક્ટિવિટી પૂરી પાડવા પ્રતિબદ્ધ છે. આવનારા દિવસોમાં અમદાવાદ અને ભૂજ વચ્ચે પણ એર સેવાઓ શરૂ થશે. રાજ્યના દરેક તાલુકામાં હેલીપેડ બન્યાં છે. 6 જેટલી જગ્યાએ હેલીપોર્ટ બની રહ્યા છે. મુખ્યપ્રધાનના જૂના ચાર્ટર પ્લેનને 108 એમ્બ્યુલન્સમાં કન્વર્ટ કરવા દિલ્હીમાં મંજૂરીની પ્રોસેસ ચાલી રહી છે. નાના-મોટા 15થી 17 એરસ્ટ્રીપ ડેવલપ થઈ રહ્યા છે. વર્તમાનમાં અમદાવાદ અને સુરતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાની કામગીરી ચાલી રહી છે.
સરકાર સાથે રહીને આ સેવા શરૂ કરનારી ખાનગી કંપનીના ડિરેક્ટરે જણાવ્યું હતું કે, આવનારા સમયમાં આ સેવાને સારો પ્રતિસાદ મળશે તો ટ્રાફિકને જોતા ટિકિટના ભાવ 3,500 રૂપિયા કરાશે. એક મહિના સુધી આ લોન્ચિંગ ભાવ છે. કચ્છના ધોરડો ખાતે પણ લોકો પ્રવાસનમાં જાય છે, તેને એર કનેક્ટિવિટી મળે તે માટે એરસ્ટ્રીપ બનાવવા ફોરેસ્ટ ખાતાની મંજૂરી મેળવાય તેવો અનુરોધ રાજ્ય સરકારને કરાયો છે.