કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. આજે સવારે તેઓ વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાંથી રાહુલ ગાંધી જબુંસર જવા રવાના થયા છે. રાહુલ ગાંધી આજે જંબુસર, દયાદરા અને અંકલેશ્વરમાં જાહેરસભાને સંબોધિત કરશે. ગુજરાત પ્રવાસ દરમિયાન કૉંગ્રેસ ઉપાધ્યક્ષ પાટીદારો, મહિલાઓ, ખેડૂતો સહિતના વિવિધ વર્ગ સાથે બેઠક કરશે. સાથેસાથે જાહેરસભાઓ પણ ગજવશે. રાહુલ ગાંધી ગુજરાતમાં 6 જાહેરસભા કરશે. તેઓ જંબુસરથી સવારે 11 કલાકથી પ્રવાસનો આરંભ કરશે અને તા. 3જીએ રાત્રે સુરતમાં યાત્રા પૂર્ણ કરશે. તેમના પ્રવાસ દરમિયાન લગભગ 28 જેટલા વિધાનસભાના વિસ્તારને સીધા આવરી લેવામાં આવ્યા છે.
ગઈકાલે બપોરના સાડાત્રણ વાગ્યાના સુમારે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર એહમદ પટેલ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી તથા અન્ય પદાધિકારીઓ જંબુસર સ્થિત સભા સ્થળે આવી પહોંચ્યા હતા સભા સ્થળે અપાતા આખરી ઓપનું નિરીક્ષણ કરી ઉપસ્થિત જિલ્લા અને શહેર તાલુકાના કોંગ્રેસના પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.