મુંબઇઃ હવે બેન્ક લોન વધુ સસ્તી થવાની શક્યતા નથી. આજે રિઝર્વ બેન્ક દ્વારા જાહેર કરવામં આવેલી ધિરાણનીતિમાં ફરી એકવાર નીતિગત વ્યાજદરો સ્થિર રાખવામાં આવ્યા છે. આજે રિઝર્વ બેન્કની નાણાકીય વર્ષ 2021-22ની પ્રથમ ધિરાણનીતિની જાહેરાત કરવામાં આવી છે. જેમાં RBI એ મુખ્ય નીતિગત વ્યાજદરો ફરી એક વાર વધી રહેલી મોંઘવારીના કારણે સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે.
ધિરાણનીતિની જાહેરાત કરતા RBIના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ, મુખ્ય નીતિગત વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રેપો રેટ 4% અને રિવર્સ રેપો રેટ 3.35%ના દરે સ્થિર રહેશે. ભારતમાં લોકડાઉન અને પ્રતિબંધો આર્થિક રિકવરી માટે અડચણરૂપ રહેશે.
શક્તિકાંત દાસે કહ્યું કે કોરોનાનો પ્રસાર વધવા છતાં ઇકોનોમીમાં સુધાર થઇ રહ્યો છે. જો કે તાજેતરમાં જ જે પ્રકારે કેસ વધી રહ્યાં છે, તેનાથી થોડી અનિશ્વિતતા વધી છે. પરંતુ ભારત પડકારોનો સામનો કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે ફેબ્રુઆરીમાં રિટેલ મોંઘવારી 5 ટકાની ઉંચાઇ પર રહ્યા છતાં રિઝર્વ બેંકની સુવિધાજનક સીમાના દાયરામાં છે.
રિઝર્વ બેંકે રિવર્સ રેપો રેટને પણ 3.35 ટકા પર યથાવત રાખ્યો છે. રેપો રેટ તે દર હોય છે જેના પર બેંકોને રિઝર્વ બેંક પાસેથી ઉધાર મળે છે, જ્યારે રિવર્સ રેપો રેટ તે દર હોય છે જેના પર રિઝર્વ બેંક પોતાની પાસે બેંકો દ્વારા પૈસા જમા કરવા પર બેંકોને વ્યાજ આપે છે.
કોરોનાના કેસ વધવા છતાં રિઝર્વ બેંકે આ નાણાકીય વર્ષ એટલે કે 2021-22 માટે જીડીપી ગ્રોથના અંદાજને પણ 10.5 ટકા પર યથાવત રાખ્યો છે. એમપીસીએ ગત એલાનમાં પણ જીડીપીનો આ જ અંદાજ જારી કર્યો હતો.