પાર્ટી વિથ ડિફરન્ટ અને કેડર બેઝ પાર્ટીના સૂત્ર સાથે ચાલતા ભાજપ માટે હવે જીતવું સૌથી ટોપ પ્રાયોરિટી થઈ ગયું છે. ભાજપમાં સ્થિતિ સ્ફોટક છે પણ નેતૃત્વની પકડ હોવાથી ભાજપનો ડખો યેનકેન રીતે ડામી દેવામાં આવે છે અને જે કોઈ ફિશિયારી મારે છે તેને બરાબરનો પાઠ ભણાવવામાં આવે છે.
હાલ ભાજપમાં અસલી અને નકલી ભાજપીઓ વચ્ચેનું શીતયુદ્વ ચાલી રહ્યું છે. પાયાના કાર્યકરો જોઈ રહ્યા છે કે ભાજપમાં વર્ષો સુધી જાત ઘસીને પાર્ટીને બેઠી કરવામાં કોઈ કચાશ રાખી ન હોય તેવા લોકોને દરકિનાર કરીને વટલાઈને ભાજપમાં આવેલા લોકોને મોટા મોટા હોદ્દા અને સંગઠનની જવાબદારી સુદ્વા આપવામાં આવી રહી છે.
સીધી રીતે કહીએ તો ભાજપનું કોંગ્રેસીકરણ થઈ ગયું છે. ભાજપમાં કોંગ્રેસના નેતાઓના નેતાઓનો ગાડરીયો પ્રવાહ ચાલુ જ રહ્યો છે. બહુ મોટા માથાઓ ભાજપમાં આવી રહ્યા છે એમ સમજીને ભાજપ તેમના માટે રેડ કાર્પેટ પાથરી રહ્યું છે. છેવટે આ નુકશાન પાર્ટીને જ થઈ રહ્યું છે. કારણ કે વર્ષોથી ભાજપ માટે તમામ પ્રકારે કામ કરનારા અને સંઘર્ષ કરનારા કાર્યકરોમાં મોટા પ્રમાણમાં હતાશા અને નિરાશા જન્મી ગઈ છે. અન્ય પક્ષમાંથી વટલાઈને ભાજપમાં આવેલા લોકો પર જે રીતે આલુ-સમરકંદ બુખારા ઓવરવામાં આવે છે તે જોઈને પાયાના કાર્યકરો હાલ આઘાતની સ્થિતિમાં છે.
જાતિ અને જ્ઞાતિના રાજકારણને સેટ કરવા માટે ભાજપ દ્વારા કોંગ્રેસના માથાના દુખાવાને પોતાનો માથાનો દુખાવો બનાવવામાં આવી રહ્યો છે. હજુ પણ ભાજપ કોંગ્રેસ કે અન્ય પાર્ટીમાંથી માણસોને પોતાની પાર્ટીમાં ખેંચવા માટેના પ્રયાસોમાં છે ત્યારે પ્રશ્ન થાય છે કે દુનિયાની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરતાં ભાજપને વટલાયેલા નેતાઓની જરુર કેમ પડી રહી છે. શું ભાજપ પાસે જે તે સમાજ પર પકડ ધરાવતા નેતાઓ અને કાર્યકરોની ખોટ પડી રહી છે કે જેથી કરીને નેતાઓને અન્ય પક્ષમાંથી આયાત કરવા પડી રહ્યા છે?
બીજી રીતે કહીએ તો હવે રાજકારણમાં સિદ્વાંતો અને વિચારધારાના બદલે વિજયનું ગણિત વધુ મંડાય છે. જો જીતા વહી સિકંદરની જેમ ભાજપમાં જીતી શકે તેવા ઉમેદવારો પર વધારે ભાર મૂકવામાં આવે છે. રાજકારણને સિદ્વાંત કે વિચારધારાના બદલે પ્રોફેશનલી લઈને મેનેજમેન્ટ ગોઠવવામાં આવી રહ્યું છે. નિષ્ણાતો કહે છે કે રાજકારણનું વ્યવસાયિકરણ થઈ ગયું છે. આ બાબત માત્ર ભાજપને લાગુ પડતી નથી પણ કોંગ્રેસ સહિતના અન્ય પક્ષોને પણ લાગુ પડે છે.
પાર્ટીને મજબૂત કરો પણ કેવી રીતે કરો એ બાબતમાં સિદ્વાંત અને વિચારાધારાને હાલ કોઈ સ્થાન દેખાતું નથી. પ્રોફેશનલ ટેક્નોક્રેટ્સને હાયર કરવામાં આવે છે. આ પ્રોફેશનલ લોકો પાર્ટીના કાર્યકરોને સૂચના આપે છે કે તમારે કઈ રીતે પ્રચાર કરવો. આ સ્થિતિ પાર્ટીના કાર્યકરોમાં સહન ન કરાય તેવી બની રહી છે.