ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન બાદ રુપાણી સરકારની વિદાયને લઈ તમામ મંત્રીઓને ઘરે બેસવાનો વારો આવ્યો. રૂપાણી સરકાર ગયા બાદ ભૂતપૂર્વ બનેલા મંત્રીઓને બંગલા ફાળવી દેવાયા છે. સંતાનોના અભ્યાસનું કારણ આગળ ધરવામાં આવ્યું છે. તમામ ભૂતપૂર્વ મંત્રીઓને નજીવા ભાડાથી બંગલા ફાળવી દેવાયા છે. વાસ્તવમાં એકેય પૂર્વ મંત્રીના સંતાન ગાંધીનગરની શાળા-કોલેજમો અભ્યાસ કરતો નથી.
એક અહેવાલ મુજબ, મુખ્યમંત્રી વિજય રૂપાણીને અચાનક રાજીનામુ આપી દેવા દિલ્હીથી આદેશ થયો હતો. એટલું જ નહીં, રૂપાણી સરકારના બધાય સિનિયર મંત્રીઓએ રાજીનામુ ધરીને ઘેર બેસવું પડયુ હતું. આ તમામ પૂર્વ મંત્રીઓને ક્વાર્ટસ આપવા નક્કી કરાયુ હતું પણ ધરાર ના પાડી દેવાઇ હતી. પૂર્વ મંત્રીઓને પાટનગર ગાધીનગરમાં ક-ખ ટાઇપના બંગલામાં જ રહેવુ છે.
હવે આ બંગલા મેળવવા માટે સંતાનોના અભ્યાસના કારણને આગળ ધરી નજીવા ભાડે બંગલા ફાળવી દેવાયા છે. ગાંધીનગરમાં ક ટાઇપના બંગલાનું બજાર ભાડુ રૂા.42 હજાર આંકવામાં આવ્યુ છે. પણ સંતાનો અભ્યાસ કરી રહ્યા છે તે કારણ ધરીને પૂર્વ મંત્રીઓને રૂા.4800ના ભાડે બગલા અપાયા છે. હકીકત એવી છેકે, રૂપાણી સરકારના એકેય મંત્રી એવા નંથી જેમના સંતાન ગાંધીનગરની શાળા-કોલેજમાં ભણતા હોય.
માર્ગ મકાન વિભાગના પરિપત્રમાં એવો ઉલ્લેખ કરાયો છેકે, શૈક્ષણિક સત્ર પૂર્ણ થાય ત્યાં સુધી આ બંગલા ફાળવવામાં આવ્યા છે. એટલું જ નહી, રૂા.4800નુ ભાડુ નક્કી કરાયુ છે. સત્તા પરથી ઉતર્યા બાદ પણ ભાજપના પૂર્વ મંત્રીઓ સરકારી લાભ લેવાનુ ચૂક્યા નથી. ભાજપના કેટલાંય નેતાઓ આર્થિક ભાડુ ચૂકવીને ગાંધીનગરમાં રહે છે. તો એવી ય માહિતી મળી છેકે, કેટલાંક નેતાઓએ તો આઇએએસ અધિકારીઓના બંગલા ભાડે રાખ્યા છે. કેટલાંક તો નિગમના ચેરમેનને મળતા બંગલાઓમાં ય અઁડિગા જમાવીને બેઠા છે. ઉલ્લેખનીય છેકે, કેટલાંય કર્મચારીઓ નિવૃત થયા બાદ હજુય બંગલા ખાલી કરતાં નથી. આમ, પૂર્વ મંત્રીઓ બંગલાનુ બજારભાડુય ચૂકવવા તૈયાર નથી.
નિતીન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભ પટેલ, ગણપત વસાવા, જયેશ રાદડિયા, ઇશ્વર પરમાર, પ્રદિપસિંહ જાડેજા, પરષોતમ સોલંકી, જયદ્રથસિંહ પરમાર, ઇશ્વરસિંહ પટેલ, વાસણ આહિર, વિભાવરીબેન દવે, રમણ પાટકર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કુંવરજી બાવળીયાનો સમાવેશ થાય છે.
નવી સરકાર બદલાયા બાદ કોંગ્રેસ હાઇકમાન્ડે પણ વિધાનસભા વિપક્ષના નેતાની નવી નિમણૂંક કરી છે. હવે વિપક્ષના નેતા પદે સુખરામ રાઠવાની નિયુક્તિ કરી છે. જોકે, મળતી માહિતી મુજબ, પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ ક ટાઇપના બંગલાની માંગણી કરી છે. ધાનાણીને પણ પૂર્વ મંત્રીઓની જેમ બંગલો જોઇએ. ધાનાણીએ પણ ગાંધીનગરમાં રહેવા માટે બંગલાની માંગણી કરી છે.