ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસેને મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિ અંગે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. નાસિર હુસેને કહ્યું કે નિવૃત્તિ પછી ભારતીય ક્રિકેટ ધોનીનું મહત્વ જાણી શકશે.
તમને જણાવી દઈએ કે મહેન્દ્રસિંહ ધોનીએ 15 ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. નાસિર હુસેને ધોનીને ભારતનો શ્રેષ્ઠ કેપ્ટન ગણાવ્યો છે.
ધોનીની પ્રશંસા કરતા નાસિર હુસેને કહ્યું, ધોની વર્લ્ડ ક્રિકેટના વિકેટકીપર, શ્રેષ્ઠ ફિનિશર અને વનડે ટી 20 માં શ્રેષ્ઠ કેપ્ટન રહી ચૂક્યા છે. ધોનીની કેપ્ટનશીપ ચેન્નાઈની હોય કે ભારત માટે, તે હમેશા ખુબ શાનદાર રહી છે.
મહેન્દ્રસિંહ ધોનીએ વર્ષ 2008 માં ભારતીય ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી. જ્યારે ધોનીએ ટીમની કેપ્ટનશીપ સંભાળી ત્યારે તેની પાસે ઘણા પડકારો હતા. જેમ કે યુવાનોને તકો આપવી અને ભવિષ્ય માટે ટીમ બનાવવી.
તે તમામ પડકારોનો સામનો કરીને ધોનીએ ભારતીય ટીમને ઘણી ઐતિહાસિક ક્ષણો આપી. ધોનીની કપ્તાની હેઠળ ભારતે પ્રથમ વખત ટેસ્ટમાં નંબર વન બનવાનો સ્વાદ ચાખ્યો હતો.
ડિસેમ્બર 2014 માં ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. 2017 ની શરૂઆતમાં ધોનીએ તે જ શૈલીમાં વનડે અને ટી 20 ની કેપ્ટનશીપને અલવિદા કહ્યું, જેના માટે તે જાણીતા હતા.