સ્માર્ટફોન અને કમ્પ્યૂટર લોકોને જલ્દી વૃદ્ધ બનાવે છે. એક રિસર્ચમાં આ વાતનો ખુલાસો થયો છે. આ ઉપકરણોમાંથી નીકળતા વાદળી કલરના પ્રકાશના સંપર્કમાં આવાથી લોકો વૃદ્ધાવસ્થાની તરફ જઈ રહ્યા છે. આ રિસર્ચ અમેરિકાની ‘ઓરેગન સ્ટેટ યુનિવર્સિટી’ના સંશોધકો દ્વારા કરવામાં આવ્યું છે.
કોષો નાશ પામે છે
વૈજ્ઞાનિકોએ રિસર્ચમાં જોયું કે, મોબાઈલ અને કમ્પ્યૂટરમાંથી નીકળતો વાદળી પ્રકાશ ઉંમર વધવાની પ્રક્રિયાને ઝડપી બનાવી શકે છે. ભલે આ પ્રકાશ ડાયરેક્ટ તમારી આંખોમાં ન પડે. રિસર્ચનાં લેખક અને પ્રોફેસર જેગા ગાઈબુલ્ટાઈકજના જણાવ્યા પ્રમાણે, કૃત્રિમ પ્રકાશ આયુષ્ય ઓછું કરે છે. તે જલ્દી મૃત્યુનું કારણ બની શકે છે. આ રિસર્ચ મચ્છરો પર કરવામાં આવ્યું, કેમ કે, તેના કોષોમાં મનુષ્ય જેવાં જ લક્ષણો જોવા મળ્યાં હતાં.
પ્રાકૃતિક રોશની જરૂરી છે
રિસર્ચમાં જણાવ્યા અનુસાર, જે લોકો વાદળી એલઈડીના સંપર્કમાં રહે છે, તેમના મગજની તંત્રિકાઓ અને રેટિના કોષો ક્ષતિગ્રસ્ત થઈ જાય છે. રિસર્ચનાં લેખકના જણાવ્યા મુજબ, મનુષ્ય અને પ્રાણીઓને સ્વસ્થ રહેવા માટે કુદરતી પ્રકાશ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે, તે શરીરની જૈવિક ઘડિયાળને ઉત્તેજિત કરે છે, જે મગજની પ્રવૃત્તિ, હોર્મોનનું ઉત્પાદન અને કોષોને ફરીથી ઉત્પન્ન કરે છે.
કૃત્રિમ પ્રકાશના સંપર્કમાં આવવાથી ઘણાં જોખમો રહેલાં છે
સંશોધકોના જણાવ્યા અનુસાર, લાંબા સમય સુધી કૃત્રિમ પ્રકાશના સંપર્કમાં રહેવાથી કેન્સરનું જોખમ વધારે રહે છે. તે શરીરમાં મેલાટોનિન હોર્મોનનું ઉત્પાદન ઘટાડે છે. આ હોર્મોન શરીરના તમારા ઊંઘના ચક્રને જાળવી રાખવામાં મદદ કરે છે. વાદળી પ્રકાશ અન્ય હોર્મોનને પણ નાશ કરે છે, જેનાથી બ્રેસ્ટ અને પ્રોસ્ટેટ કેન્સર થઈ શકે છે.
બ્લૂ લાઈટ ફિલ્ટર વાપરો
બ્લૂ લાઈટનાં જોખમોને ધ્યાનમાં રાખીને હવે ઘણી મોબાઈલ કંપનીઓ બ્લૂ લાઈટ ફિલ્ટરનું ફીચર પ્રી ઈન્સ્ટોલ્ડ આપે છે. જો મોબાઈલમાં એવું ફીચર ન હોય તો તમે ‘ટ્વાઈલાઈટ’ જેવી મોબાઈલ એપના ઉપયોગથી બ્લૂ લાઈટ પર નિયંત્રણ કરી શકો છો.