સુરત કોંગ્રેસમાં મોટા ફેરબદલના ભણકારા વાગી રહ્યા છે. જગદીશ ઠાકોર પ્રમુખ બનતાં જ સુરત કોંગ્રેસમા નવા પ્રમુખ તરીકે કોણ આવશે તેની ચર્ચા શરુ થઈ ગઈ છે અને કેટલાક નામોની રજૂઆત પણ પ્રદેશ કોંગ્રેસને કરવામાં આવી હોવાનું કોંગ્રેસ વર્તુળો દ્વારા જાણવા મળી રહ્યું છે.
હાલ સુરત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નૈષધ દેસાઈ છે. નૈષધ દેસાઈ પહેલાં સુરત કોંગ્રેસના પ્રમુખ પદે બાબુ રાયકા હતા પણ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થતાં બાબુ રાયકાએ રાજીનામું આપવાનો વારો આવ્યો હતો. નૈષધ દેસાઈ આ અગાઉ પણ ફૂલટાઈમ પ્રમુખ બની ચૂક્યા છે અને હવે તેમને પૂર્ણકાલીન પ્રમુખ બનાવવાના મતમાં પ્રદેશ કોંગ્રેસ હોય એમ લાગતું ન હોવાનું કોંગ્રેસના સૂત્રો જણાવી રહ્યા છે.
અન્ય નામોમાં પૂર્વ પ્રમુખ હસમુખ દેસાઈ છે. હસમુખ દેસાઈ પાટીદાર ખરા, પણ તેમને કદીર પીરઝાદા સાથે નવસારી જિલ્લાના નિરીક્ષક બનાવવામાં આવ્યા છે અને હસમુખ દેસાઈ આ પહેલાં પણ પ્રમુખ બની ચૂક્યા છે એટલે તેમનું નામ નોરિપીટ ફોર્મ્યુલામાં કપાઈ શકે એમ છે.
આ સિવાય હાર્દિક પટેલના સાથીદાર એવા અને પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણીનું નામ ચર્ચામાં આવ્યું હતું પણ નિલેશ કુંભાણીએ પ્રમુખ બનવા કરતાં વિધાનસભા લડવા માટે રજૂઆત કરી છે. તેમની ઈચ્છા કામરેજ વિધાનસભા લડવાની છે. જોકે, કોંગ્રેસે તેમની ઈચ્છા અંગે કોઈ સાનુકુળ પ્રતિભાવ આપ્યો હોય એવું જાણવા મળતું નથી. અશોક જીરાવાલા પણ સુરત કોંગ્રેસના પ્રમુખ બની ચૂક્યા છે અને તેઓ પણ નોરિપીટ ફોર્મ્યુલામાં કપાઈ શકે છે.
કોંગ્રેસ વર્તુળોના જણાવ્યા મુજબ દિનેશ સાવલીયાના નામે સંમતિ સાધવામાં આવી રહી છે. દિનેશ સાવલીયા પાટીદાર સમાજમાંથી આવે છે અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીની સાથે ચાલે છે. દિનેશ સાવલીયાને સુરત કોંગ્રેસનો તાજ પહેરાવવામાં આવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે.
પ્રમુખ ઉપરાંત બે કાર્યકારી પ્રમુખ પણ બનાવવામાં આવનાર છે. બે કાર્યકારી પ્રમુખમાં એક હિન્દી ભાષી એટલે કે પરપ્રાંતિય સમુદાયમાંથી લેવામાં આવે અને બીજા કાર્યકારી પ્રમુખમાં માઈનોરિટી સમાજમાંથી લેવામાં આવે એવી સંભાવના છે. માઈનોરીટીમાંથી અસલમ સાયકલવાલા, ફિરોઝ મલેક, અસદ કલ્યાણી, લાલખાન પઠાણ વગેરેના ચર્ચામાં છે. જ્યારે હિન્દી ભાષીમાંથી પૂર્વ કોર્પોરેટર ધનસુખ રાજપુતના લઘુબંધુ અને કોંગ્રેસમાં સક્રીય એવા બબલુ અને નાગેશ મિશ્રાના નામો ચર્ચામાં આવ્યા છે.
બીજી વાત મુજબ સુરત માઈનોરીટી ડિપાર્ટમેન્ટના પ્રમુખ પદ માટે લાલ ખાન પઠાણ અને મુકદ્દર રંગુનીના નામો ચર્ચામાં છે. જો લાલ ખાન સુરત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બને છે તો માઈનોરીટી ડિપાર્ટમેન્ટના પ્રમુખ માટે મુકદ્દર રંગુની પણ પસંદગીનો કળશ ઢોળાઈ શકે છે. જોઈએ હવે કોંગ્રેસ કોની ક્યાં નિમણૂંક કરે છે.