છત્તીસગઢમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, રાયપુરના 3 વિદ્યાર્થીઓએ મકાઈના લોટમાંથી બાયોડિગ્રેડબલ પ્લાસ્ટિક બનાવ્યું છે. હાલ માર્કેટમાં ઉપલબ્ધ નોર્મલ પ્લાસ્ટિકને નષ્ટ થવામાં સમય લાગે છે, તેવામાં આ પ્લાસ્ટિક માત્ર 1 વર્ષમાં નષ્ટ થઈ જશે. એટલું જ નહીં પણ આ પ્લાસ્ટિકને રિસાઈકલ કરીને ફરીથી ઉપયોગમાં પણ લઈ શકાશે. એનઆઈટીના નિખિલ વર્મા, કૃષ્ણેદુ અને નિહાલ પાંડેએ મકાઈના લોટ(સ્ટાર્ચ)માં ગ્લિસરિન ભેળવીને પ્લાસ્ટિક બનાવ્યું છે. આ પ્લાસ્ટિકથી પર્યાવરણ કે પ્રાણીઓને કંઈ નુકસાન નહીં થાય. મકાઈના લોટમાંથી પ્લાસ્ટિક બનાવનાર વિદ્યાર્થીઓએ કહ્યું કે, અમને આ પ્લાસ્ટિક બનાવતા 3 મહિનાનો સમય લાગ્યો હતો. નિખિલ વર્માએ કહ્યું કે, અમે પુકાર ગો ગ્રીન ફેસ્ટ માટે આ પ્લાસ્ટિક તૈયાર કર્યું હતું. આ સ્પર્ધામાં અમે પ્રથમ નંબરે આવ્યા. અમે કોલેજની લેબમાં જ પ્લાસ્ટિકનું પરીક્ષણ કર્યું અમારી મહેનતને કારણે સફળ રહ્યા.આ પ્લાસ્ટિકને અમે માર્કેટમાં પણ ટૂંક સમયમાં ઉતારવાના છીએ. ટીમના અન્ય મેમ્બરે જણાવ્યું કે, બાયોડિગ્રેડબલ પ્લાસ્ટિકને માત્ર 1 વર્ષના સમયગાળામાં નષ્ટ કરી શકાય છે. પ્રદૂષણનો નાશ કરવા માટે મકાઈના લોટમાંથી બનાવેલું પ્લાસ્ટિક મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.
Thursday, May 9