રાજકોટમાં ઉપરવાસના વિસ્તારમાં ભારે વરસાદને પગલે શહેરમાંથી વહેતી આજી નદી બે કાંઠે વહેતી થઈ હતી. મોટા પ્રમાણમાં પાણીની આવક થતા નદીકાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યાં છે. જંગલેશ્વર વિસ્તારની એકતા કોલોનીમાં મકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા.
રામનાથ વિસ્તારમાં પાણી ભરાતા ભયાનક દ્રશ્યો જોવા મળ્યાં હતાં. તેમજ પાણી ઓસરતા ઠેર-ઠેર ગંદકી જોવા મળી હતી. પાણીના પ્રવાહથી 2 કાચા મકાન ધરાશાયી થયા હતા અને રામનાથ મંદિરની બાજુમાં મોટો ભુવો પડ્યો હતો.
શહેરના આજી નદીકાંઠાના વિસ્તાર ભગવતીપરા, રામનાથ પરા, થોરાળા વિસ્તારમાં માઇક વડે સ્પીકરમાં લોકોને સતર્ક રહેવા સતત સૂચના આપવામાં આવી હતી.
આ ઉપરાંત નદીકાંઠે આવેલા રામનાથ મહાદેવ મંદિરમાં નદીના પાણી ઘૂસ્યાં હતા અને રામનાથ પુલ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેથી તંત્રએ આ બ્રિજને બંધ કર્યો હતો.
ફાયરબ્રિગેડના વાહન, પોલીસ તેમજ સ્થાનિક આગેવાનો રામનાથપરા તેમજ ભવાનીનગર પહોંચ્યા હતા અને નદીકાંઠે રહેતા 1000 લોકોને સ્થળાંતર કરી સમાજની વાડીમાં ખસેડ્યા હતા અને અન્ય વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કર્યું હતું.