ગુજરાત કોંગ્રેસમાં ફેરફાર થઈ રહ્યા છે તે અંગે અનેક વાર અટકળો અને ચર્ચાઓએ જોર પકડ્યું છે. ફરી એક વાર કોંગ્રેસમાં ફેરફારની ચર્ચા ઉપડી છે. આ ચર્ચામાં આ વખતે દક્ષિણ ગુજરાતના ધારાસભ્યનું નામ ખાસ્સું એવું ચર્ચાસ્પદ બન્યું છે. આ ધારાસભ્યને કોંગ્રેસ ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા બનાવી શકે તેવી અટકળો ચાલી રહી છે.
આ ધારાસભ્ય બીજા કોઈ નહીં પણ આદિવાસી પટ્ટીની વિધાનસભા સીટ ધરાવતી વાંસદા વિધાનસભા છે. આ વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલ છે. અનંત પટેલનું નામ હાલના વિપક્ષી નેતા ભાઈ પરેશભાઈ ધાનાણીની જગ્યાએ ચર્ચામાં આવ્યું છે. પરેશ ધાનાણીના સ્થાને કોંગ્રેસ અનંત પટેલને વિપક્ષી નેતા બનાવી શકે છે એવી ચર્ચા કોંગ્રેસી વર્તુળોમાં ચાલી રહી છે.
અનંત પટેલ આદિવાસી વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને હાલમાં તેમણે ડાંગ-આહવાના સળગતા પ્રશ્ન અંગે જન આંદોલન પણ કર્યું છે. તેઓ આદિવાસીઓના પ્રશ્નો અને અધિકારો માટે સતત સંઘર્ષ કરતા જોવા મળે છે.
મહત્વની વાત એ છે કે ભાજપના મોજામાં પણ અનંત પટેલે વાંસદા સીટને કોંગ્રેસ માટે જીતાડી બતાવી છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસનું કચ્ચરઘાણ થયું ત્યારે દ.ગુજરાતમાં કોંગ્રેસ જે બેઠકો જીતી તેમાં વાંસદાનો સમાવેશ થાય છે. અનંત પટેલનું નામ વિપક્ષી નેતા પદ માટે ચર્ચામાં આવતાં જ દ.ગુજરાત કોંગ્રેસમાં આ મુદ્દો ચર્ચાની એરણે મૂકાયો છે.