અમદાવાદઃ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડ (ATS)એ સુરતમાંથી આબેદ અને અંકલેશ્વરમાંથી મહમ્મદ કાસિમ ટિમ્બરવાલાને ઝડપી લીધા હતા. તેમાંથી કાસિમ ટિમ્બરવાલાને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અહમદ પટેલ પર ગંભીર વ્યક્તિગત આરોપો લગાવ્યા છે. હકીકતમાં કાસિમ અકંલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં ટેકનિશિયન તરીકે કામ કરતો હતો. તેની ધરપકડ થઈ તેના થોડા દિવસ પહેલા જ તેણે રાજીનામુ આપી દીધું હતું. રૂપાણીએ આરોપ લગાવ્યો છે કે, કાસિમ જે હોસ્પિટલમાં કામ કરતો હતો તે હોસ્પિટલમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલ ટ્રસ્ટી હતા. તેમણે સવાલ કર્યો છે કે, અહમદ પટેલ સ્પષ્ટ કરે કે આતંકવાદીઓ સાથે અહમદ પટેલને શું સંબંધ હતા? તેમણે આ મામલે અહમદ પટેલનું રાજીનામું માગ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ATSનો દાવો છે કે આ બંને આતંકવાદીઓ અમદાવાદમાં ખાડિયામાં અને ધાર્મિક સ્થાનો પર હુમલો કરવાનું ષડયંત્ર રચી રહ્યા હતા.
વિજય રૂપાણીએ કહ્યું કે, ‘ગુજરાતના સીએમ તરીકે હું અહમદ પટેલ પાસે જવાબ માગું છું અને કોંગ્રેસ પાસે જવાબ માગું છું.’ મુખ્યમંત્રીએ અહમદ પટેલના રાજીનામાની માગ કરતા કહ્યું કે, ‘શું અહમદ પટેલનું કોઈ કનેક્શન છે કે કેમ, જો હોય તો તે ઘણી મોટી વાત છે. તમે જનતાને જવાબ આપો.’