અમરેલી જિલ્લાના બે એવા વૃદ્ધ ખેડૂતો કે જેઓ છેલ્લા ઘણા વર્ષોથી ખેતરમાં રહી ખેતી કરીને જ વિતાવી રહ્યા છે. રહેવું, જમવું અને સુવાનું પણ ખેતરમાં જ કોઈ પ્રસંગ સિવાય ખેતરમાંથી બહાર પણ ન નીકળવું તેવું તેમણે નક્કી કરી રાખ્યું છે. આ ખેડૂતોની ઉમર 70 વર્ષ ઉપર પરંતુ ખેતીનો જુસ્સુ યુવાનોને પણ શરમાવે તેઓ. ત્યારે આ વૃદ્ધ ખેડૂત યુવાનોને એક સંદેશો આપી રહ્યા છે.
કામ અને ઉંમરને કંઈ લાગતું વળગતું નથી. ખેતી માટે તો કહેવાય છે કે ખેતી સદા સુખ દેતી. અને આ મંત્રને જ સાકાર કર્યો છે ટીવી સ્ક્રિન પર દેખાતા આ બે ખમતીધર ખેડૂતોએ. તેમના ચહેરાને જોઈ એક રીતે તો લાગે કે આ તો નિવૃતિની ઉંમર છે. પણ નિવૃતિમાં પણ પ્રવૃતિ કરી બતાવે તેને જ તો ધરતીપુત્ર કહેવાય.
અમરેલી જિલ્લાના મૂળિયાપાટ ગામના ખેડૂત બંધુ અમરશીભાઇ જેઓની ઉમર 78 વર્ષ છે. તો તેમની સાથે છે દેવરાજભાઇ જેમની ઉમર 75 વર્ષ છે. આ બંને ભાઈઓ છેલ્લા 60 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે. તેઓ પોતાના 25 વીઘાના ખેતરમાં બાગાયતી ખેતી. શાકભાજી, રવિ પાક, ખરીફ પાક અને ઉનાળુ પાક એમ સીઝન વાઈઝ પાક લઈને દર વર્ષે સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે.
આ બંને ખેડૂતોનો ખેતી સાથે પૂરો લગાવ છે. અને “ખેતીથી જ આપણું કલ્યાણ” ના સૂત્ર સાથે પોતાનું જીવન તેમણે ખેતીમય બનાવ્યું છે. બંને ગાયકવાડી ખેડૂતોની ઉમર 70ને પાર પહોંચી હોવા છતાં પણ ખેતી કરવા કટિબદ્ધ છે. આ ખેડૂત યુવાનોને પણ ખેતી કરવા એક સંદેશ આપી રહ્યા છે.