ગાંધીનગર – લોકડાઉન 4.0માં લગ્ન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી પરંતુ કેટલાક નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. કેન્દ્રના ગૃહ મંત્રાલયના આદેશ પ્રમાણે રાજ્યમાં કોઇપણ પરિવારમાં લગ્ન થાય તો તેઓ 50થી વધુ લોકોને એકત્ર કરી શકશે નહીં. કોરોના વાયરસનું સંક્રમણ ફેલાય નહીં તે માટે આ નિયમનું પાલન અન્ય રાજ્યો સાથે ગુજરાતે પણ કરવાનું રહેશે.
રાજ્યના જિલ્લા કલેક્ટરોએ બહાર પાડેલા નોટીફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે લોકડાઉન 4.0નો જે સમયગાળો છે તેમાં એટલે કે 31મી મે સુધીમાં જો લગ્ન પ્રસંગ કરવો હોય તો તેમાં મર્યાદિત સંખ્યા રાખવી પડશે. ભારત સરકારની ગાઇડલાઇન પ્રમાણે લગ્ન પ્રસંગ માટે જરૂરી નિયમન કરવાનું રહેતું હોવાથી જિલ્લાના કાર્યક્ષેત્રમાં કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં યોજાતા લગ્ન પ્રસંગે વર અને કન્યા એમ બન્ને પક્ષે વિધિ કરાવનારા મહારાજ અને ફોટોગ્રાફર સહિત વધુમાં વધુ 50 લોકો જ હાજરી આપી શકશે.
લગ્ન પ્રસંગ માટે રાજ્યના જે તે જિલ્લાના તાલુકા મામલતાદરને કામગીરી સોંપવામાં આવી છે જેઓ પ્રસંગ યોજવા માટે મંજૂરી આપશે. લગ્નસ્થળ તેમજ આસપાસના ખુલ્લા વિસ્તારોને ફરજીયાત સેનેટાઇઝ કરવાના રહેશે. આદેશમાં જણાવવામાં આવ્યું છે કે પ્રસંગમાં હાજર તમામ લોકોએ માસ્ક પહેરવું ફરજીયાત છે. આ પ્રસંગ દરમ્યાન સોશ્યલ ડિસ્ટન્સ રાખવાનું પણ રહેશે.
આ ઉપરાંત લગ્ન પ્રસંગે ભોજન સમારંભ યોજવા પર પ્રતિબંધ છે. આ પ્રંસગ માટે બે વાહનથી વધારે વાહનોનો ઉપયોગ પણ કરી શકાશે નહીં. આ માટે કોઇ મુક્તિ પાસ આપવામાં નહીં આવે. લગ્ન સ્થળે સેનેટાઇઝની વ્યવસ્થા કરવાની રહેશે અને સ્વચ્છતા જાળવવી પડશે.
જિલ્લા કલેક્ટરોએ તેમના જાહેરનામામાં જણાવ્યું છે કે મંજૂરી આપવામાં આવી હોય તે સિવાયના બિન આવશ્યક મુલાકાતી હાજર રહેશે તો સરકારની સૂચનાનો ભંગ કર્યો કહેવાશે અને તેમની સામે કાર્યવાહી કરાશે. આરોગ્ય ખાતા દ્વારા હોમ ક્વોરેન્ટાઇન થયેલા વ્યક્તિઓ તેમજ કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા વ્યક્તિઓ ઉપસ્થિત રહી શકશે નહીં.
વરપક્ષની જાનનો રૂટ નક્કી કરવામાં આવ્યો હોય તે રૂટ પરથી જ જવાનું રહેશે. જો રૂટ બદલવામાં આવશે તો પગલાં લેવાશે. જે સ્થળે જાન આવવાની હોય તે વિસ્તારનો હવાલો ધરાવતા અધિકૃત અધિકારીએ સરકારની ગાઇડલાઇન પ્રમાણે પાલન કરવાની શરતે 20 વ્યક્તિઓની મર્યાદામાં લગ્ન પ્રસંગ યોજવા મંજૂરી આપવાની રહેશે અને તેની નકલ નજીકના પોલીસ સ્ટેશનને આપવી પડશે.
આ લગ્ન પ્રસંગમાં જો કોઇ શરતચૂક થઇ કે આદેશનું ઉલ્લંઘન થયું જણાશે તો સબંધિત અધિકારી આ લગ્નપ્રસંગની મંજૂરી તત્કાલ અસરથી રદ્દ કરી શકે છે અને આયોજકો સામે શિક્ષાપાત્ર ગુનો દાખલ કરી શકે છે. આરોગ્યના તમામ આદેશો જાળવવામાં આવે તે લગ્નપ્રસંગને પુરો કરવા દેવાશે. આટલા નિયમો પાળીને જો લગ્નપ્રસંગ કરવાનો થતો હશે તો કોઇપણ પરિવાર આ સમયમાં લગ્નપ્રસંગ કરતાં ખચકાશે તેવું લાગી રહ્યું છે, કારણ કે મર્યાદિત સંખ્યા અને ભોજન વિના લગ્નપ્રસંગ કોણ કરે તે સવાલ છે.