ગાંધીનગર – ભારતમાં 21 દિવસના લોકડાઉનનો 14મી એપ્રિલે છેલ્લો દિવસ છે પરંતુ જો કેન્દ્ર સરકાર આ લોકડાઉનને લંબાવશે તો યથાવત પરિસ્થિતિ રહેશે પરંતુ જો લોકડાઉન ઉઠાવી લેશે તો દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ત્રણ મહત્વની બાબતો ફરજીયાત રહેશે અને તેના ભંગ બદલા દંડ કે સજા થઇ શકે છે.
માની લઇએ કે લોકડાઉન લંબાવવામાં આવે છે તો સરકાર કેટલીક બીજી મહત્વની બાબતો જેવી કે ચશ્માની દુકાન, મોબાઇલની દુકાનો, સલૂન, ફરસાણની દુકાન, નાની મોટી બીજી દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય લઇ શકે છે. સરકાર મોલ્સ, સિનેમાગૃહો, શોપિંગ સેન્ટરો, બાગ-બગીચા અને જાહેર સ્થળોને ખુલ્લા કરવાનો નિર્ણય જૂન મહિના સુધી કરી શકે તેવી સ્થિતિમાં નથી.
જો કે અત્યારે ગુજરાતમાં 21 દિવસના લોકડાઉનને વધારે મજબૂત કરવા માટે રાજ્ય પોલીસને ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદેશ આપવાની ફરજ પડી છે, કેમ કે રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણના કેસોમાં ઉછાળો આવી રહ્યો છે. તેલંગાણા રાજ્યના મુખ્યમંત્રીએ વડાપ્રધાનને કહ્યું છે કે કોરોના સામે લડવા માટે આપણી પાસે લોકડાઉન એકમાત્ર હથિયાર છે તેથી 14મી એપ્રિલ પછી લોકડાઉન લંબાવવું જોઇએ. તેલંગાણાના સૂચન પછી– શું ગુજરાતમાં પણ લોકડાઉન 3જી જૂન સુધી લંબાશે કે કેમ તેવી અટકળોએ જોર પકડ્યું છે.
તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવનું સૂચન છે જેને ઉત્તરપ્રદેશમાં પણ સમર્થન મળ્યું છે. આ સ્થિતિ જોતાં કેન્દ્ર સરકાર રાજ્યોના અભિપ્રાય મુજબ નિર્ણય કરે તેવી સંભાવના વધારે જોવામાં આવી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એવો કોઇ નિર્દેશ આપ્યો નથી પરંતુ હાલના લોકડાઉનનો અમલ કડકહાથે કરાવવા માટે રાજ્ય પોલીસ વડાને તાકીદ કરી છે. લોકડાઉનના નિયમો અંગે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને બનાવેલી ગાઇડલાઇન પ્રમાણે નિર્ણય કરવાના સૂચનો પણ સરકારમાં સામેલ થયેલા છે.
લોકડાઉન અંગે અત્યારે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કંઇ બોલવા તૈયાર નથી, કારણ કે બઘાંની નજર વધી રહેલા કેસો પર સ્થિર થયેલી છે. ભારતમાં જો અમર્યાદ સંખ્યામાં કેસો વધી જાય તો તમામને મેડીકલ સારવાર આપવા સરકાર કેટલી સક્ષમ છે તે કહેવું મુશ્કેલ છે. ગુજરાત સહિત તમામ રાજ્યો અત્યારે હોસ્પિટલમાં સ્પેશ્યલ રૂમ બનાવવા તેમજ વેન્ટીલેટર સહિતના મેડીકલ સાધનો વસાવવાનો નિર્ણય કરી રહ્યાં છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોલીસને કહ્યું છે કે રાજ્યમાં જ્યાં કેસોનું પ્રમાણ વધતું જાય છે ત્યાં લોકડાઉનનું અસરકારક પાલન કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર તેમજ મહાનગરના સત્તાધિશોએ તૈયાર રહે. તેમણે પોલીસને સહયોગ આપવાની અપીલ કરી છે.
કેન્દ્ર સરકારના સૂત્રો કહે છે કે લોકડાઉન 14મી એપ્રિલ સુધી પાળવાનું છે પરંતુ 13મી એપ્રિલે 21 દિવસના લોકડાઉનની સમીક્ષા કરવામાં આવશે. આ સમીક્ષા દરમ્યાન ત્રણ બાબતો સામે આવી રહી છે. પહેલી બાબત એવી છે કે કેન્દ્ર સરકાર તમામ રાજ્યોમાં લોકડાઉન લંબાવવાની બીજી જાહેરાત કરી શકે છે અથવા તો લોકડાઉન માટે રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવામાં આવશે. એટલે કે જે શહેર કે વિસ્તારમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસો વધી રહ્યાં હોય ત્યાં કરફ્યુ જેવી સ્થિતિ ઉભી કરાશે, અથવા તો જે તે વિસ્તારને લોકડાઉન કરી દેવામાં આવશે.
આ સાથે પ્રત્યેક વ્યક્તિને માસ્ક પહેરવા ફરજીયાત કરી શકે છે. સરકારી કે પ્રાઇવેટ ઓફિસોમાં સેનેટાઇઝરની સુવિધા ઉભી કરવાની રહેશે. એ ઉપરાંત ખરીદી કે જાહેર સ્થળોએ કલમ 144 ફરજીયાત બનાવી વ્યક્તિ વ્યક્તિ વચ્ચે એક મીટરનું અંતર રાખવું આવશ્યક બની શકે છે. સરકારી ધીમે ધીમે લોકોને કોરોના વાયરસના સંક્રમણ સાથે કામ કરવાની છૂટ આપી શકે છે પરંતુ તેમાં કેટલાક નિયંત્રણો લાગુ કરવામાં આવી શકે છે. જો લોકડાઉન લંબાય તો સરકાર તેને 30મી એપ્રિલ સુધી લંબાવી શકે છે, ત્યારબાદ સમીક્ષા કરીને મે મહિનામાં શું કરવું તેની ગાઇડલાઇન પુરી પાડી શકે છે. જો કે આરોગ્ય વિભાગના સૂત્રો કહે છે મે મહિના સુધી ભારતના અન્ય રાજ્યોની સાથે ગુજરાતમાં પણ કોરોના વાયરસના પોઝિટીવ કેસો વધી શકે છે. 5મી જૂન પછી પરિસ્થિતિ થાળે પડતી દેખાશે.