ગાંધીનગર – ભારતનું પ્રથમ પ્લાઝમા થેરાપી સ્ટડી સેન્ટર અમદાવાદને મળ્યું છે. શહેરની એસવીપી હોસ્પિટલને આ સુવિધા મળી છે. ભારત સરકારે આ સ્ટડી સેન્ટરને માન્યતા આપી છે.અમદાવાદ મ્યુનિસિપવ કોર્પોરેશનના કમિશનર વિજય નહેરાએ જણાવ્યું છે કે, એસ.વી.પી. હોસ્પીટલમાં પ્લાઝમાં થેરાપી સેન્ટર અને સંલગ્ન અભ્યાસ કેન્દ્ર કાર્યરત થયું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દેશના આરોગ્ય મંત્રી સાથે ટેલિફોનિક વાત કરી એસ.વી.પી. હોસ્પીટલ ખાતે પ્લાઝમા થેરાપી સ્ટડી પ્રોટોકોલ નિયત કરવા માટે સત્વરે વ્યવસ્થા ઉભી કરવા સહકાર માંગ્યો હતો પરિણામે આ સુવિધા ઉભી થઈ છે. આ અભ્યાસનું નામ ‘’ફેઝ-૨ ઓપન લેબલ રેન્ડમાઇઝ્ડ કંટ્રોલ ટ્રાયલ ટુ અસેસ ધી સેફ્ટી એન્ડ એફિકસી ઓફ કોન્વેલસન્ટ પ્લાઝમા ટુ લિમિટ ધ કોવિડ-૧૯ અસોસિએટેડ કોમ્પ્લિકેશન ઈન મોડરેટ ડિસીઝ’’ નિયત કરવામાં આવ્યું છે.
વિજય નહેરાના જણાવ્યા મુજબ એસ.વી.પી. હોસ્પીટલ ખાતે એક દર્દી દ્વારા પ્લાઝમા ડોનેશન કરવામાં આવ્યું છે જે તેના રેસિપિઅન્ટને આપવામાં આવ્યું છે. આ પ્રક્રિયા એક-બે દર્દી પૂરતી સીમિત ન રહેતા મહત્તમ દર્દીઓ પર કરવામાં આવશે. પ્લાઝમા થેરાપી રિસર્ચ માટે આઇ.સી.એમ.આર.નો સંપર્ક કરવામાં આવ્યો હતો અને બંન્ને વચ્ચે એમ.ઓ.યુ થયું છે. પ્રથમ દર્દી ને પ્લાઝમા ટ્રાન્સફ્યુઝન પૂરું કરવામાં આવ્યું છે અને તે સ્ટેબલ છે બીજા દર્દીને મંગળવારે પ્લાઝમા ટ્રાન્સફ્યુઝન કરવામાં આવશે. આ માટે પ્લાઝમા ડોનર તૈયાર થયા છે અને તેઓના ટેસ્ટ ચાલુ છે.
પ્લાઝમા થેરાપીના તબક્કા જણાવતાં નેહરાએ જણાવ્યું કે આ પ્રક્રિયામાં સૌપ્રથમ પ્લાઝમાં દાતાની ઓળખ કરવામાં આવે છે, ત્યારબાદ તેમની લેખિત સંમતિ લીધા બાદ સંખ્યાબંધ ટેસ્ટ કર્યા બાદ પ્લાઝમાં રક્તના પ્રાપ્તિકર્તા રેસિપિઅન્ટ નક્કી કરવામાં આવે છે. એન.એચ.એલ. મેડિકલ કોલેજની એથીક્સ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી જેણે એસ.વી.પી. હોસ્પીટલ ખાતે રિસર્ચ અને ટ્રાયલની પ્રક્રિયાને મંજૂરી આપી છે.
આઇ.સી.એમ.આર.ના સહયોગથી મલ્ટીસેન્ટ્રિક સ્ટડી-સેન્ટર કાર્યરત થશે જેના પ્રિન્સિપલ ઈન્વેસ્ટીગેટર ડૉ. જનકભાઇ કો- ઈન્વેસ્ટીગેટરમાં ડૉ. નિલેશ, ડૉ. ચેરી શાહ અને ડો સંકેત શાહ છે. આ માટે આઈ.સી.એમ.આર. થકી ફાસ્ટટ્રેક મંજુરી મેળવવામાં આવી છે. આ સ્ટડી-સેન્ટર દેશનું પ્રથમ અભ્યાસ કેન્દ્ર બનશે આ અભ્યાસ કેન્દ્ર ખાતે કંટ્રોલ ટ્રાયલ પદ્ધતિ થકી કોરોના દર્દીઓનો ઉપચાર સાથે પ્લાઝમા થેરાપી વિશે સંશોધન કરવામાં આવશે.
નેહરાએ જણાવ્યું કે એસ.વી.પી. હોસ્પિટલ ખાતે પ્રથમ વખત કોરોના પેશન્ટની સિઝેરિયન ડિલિવરી કરવામાં આવી છે. મહિલા દર્દીની ઉંમર ૩૦ વર્ષ છે. માતા અને બાળકી બંને સ્વસ્થ છે. કોરોને લગતી સઘળી કામગીરી બદલ નેહરાએ એસ.વી.પી. ટીમને અભિનંદન પાઠવ્યા હતા. નેહરાએ જણાવ્યું કે, એસ.વી.પી. હોસ્પીટલ ખાતે શરૂઆતમાં કોરોના પેશન્ટ માટે ૫૦ બેડની વ્યવસ્થા હતી જે વધારીને હાલ ૫૦૦ બેડની છે જેને આવતીકાલથી ૧૦૦૦ બેડની વ્યવસ્થામાં પરિવર્તિત કરાશે.