2013માં સનદી અધિકારી તરીકેની સેવામાંથી નિવૃત્ત થયેલા પૂર્વ આઈએએસ અધિકારી પાછલા આઠ વર્ષથી ગુજરાતની મુખ્યમંત્રી ઓફિસ( CMO)માં કાર્યરત છે. વખતો વખત તેમની પોસ્ટીંગને લઈ વિપક્ષ કોંગ્રેસ દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવે છે પણ આ વખતે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ જગદીશ ઠાકોરના પદગ્રહણ સમારોહ દરમિયાન કે,કૈલાશનાથન અંગે જાહેરમાં નિવેદન કરીને સવાલો ઉભા કર્યા હતા.
ભરતસિંહ સોલંકીએ પોતાની સ્પીચમાં કૈલાશનાથનનો ઉલ્લેખ કરી કહ્યું કે જે અધિકારી 2013માં રિટાયર થઈ ગયા છે તો શા માટે તેમને CMOમાં સતત પોસ્ટીંગ આપવામાં આવે છે. ભરતસિંહે તેમને પોતાની સ્પીચમાં સુપર CM તરીકે પણ ઓળખાવ્યા હતા. કૈલાશનાથન અંગે ભરતસિંહ સોલંકીના સવાલોએ રાજકીય રીતે પણ ગરમાટો આણી દીધો છે.
ઉલ્લેખનીય છે કે ચીમનભાઈ પટેલની સરકાર વખતે એચકે ખાન તરીકે સનદી અધિકારી હતા અને આ સનદી અધિકાર સામે તે વખતે ભાજપે ગુજરાત ભરમાં દેખાવો, વિરોધ પ્રદર્શનો કર્યા હતા અને એક રીતે એચકે ખાન તે વખતે રાજકીય મુદ્દો બની ગયા હતા. હવે કોંગ્રેસે પણ કૈલાશનાથનનો મુદ્દો ઉભો કર્યો છે અને એવું મનાય છે કે આ મુદ્દાનો કોંગ્રેસ હવે રાજકીય રીતે ઉપયોગ કરવા માંગતી હોય એવું લાગે છે.
રાજ્યના પાવર કોરિડોરમાં પણ એક કહેવત છે – “ગુજરાત સરકાર કે.કે. વિના ચાલી શકે નહીં. અને ભાજપનું સંગઠન કાકા વિના ચાલી શકે નહીં.એટલે કે ભાજપને પટેલ વિના ચાલી શકે નહીં. કૈલાશનાથન નરેન્દ્ર મોદીથી લઈ આનંદીબેન પટેલ, વિજય રુપાણી અને ભૂપેન્દ્ર પટેલ સુધીની મુખ્યમંત્રીની ઓફિસમાં કાર્યરત છે.
એવી માન્યતા છે કે ગુજરાતમાં કૈલાશનાથન પીએમ મોદીના આંખ અને કાન છે. 1979-બેચના IAS અધિકારી માટે 2013 થી અત્યાર સુધી તેમને સાતમું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. તેઓ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વધારાના મુખ્ય સચિવ તરીકે સેવામાંથી નિવૃત્ત થયા હતા.