ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે ક્ષત્રિય સમાજ અને ઓબીસીમાંથી આવતા જગદીશ ઠાકોર અને વિપક્ષી નેતા તરીકે આદિવાસી નેતા એવાં સુખરામ રાઠવાની પસંદગી કરવામાં આવી છે. આ બન્ને નેતાઓ સામે ગુજરાત કોંગ્રેસમાં મોટા પડકારો છે. ખાસ કરીને પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર માટે સ્થિતિ ખૂબ જ પ્રવાહીશીલ અને પેચીદી બની રહેવાની છે.
એક તરફ હાર્દિક પટેલને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યો છે અને પાટીદારોને કોંગ્રેસ તરફ વાળવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસે જગદીશ ઠાકોરને કમાન સોંપીને ગુજરાતમાં જ્ઞાતિના ગણિતને સરખું કરવાની વિચારણા કરી હોવાનું માલૂમ થાય છે. કોંગ્રેસ હાઈકમાન્ડે નો-રિપીટ ફોર્મ્યુલા અપનાવી છે અને એક કે બે વાર પ્રમુખ બન્યા હોય તેમને પ્રમુખ પદ નહીં આપવાનું નક્કી કર્યું અને આમાં ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવડિયા, સિદ્વાર્થ પટેલ, શક્તિસિંહ ગોહીલ સહિતના નેતાઓના પત્તા કપાઈ જવા પામ્યા છે.
જગદીશ ઠાકોર પાસે સમય ઓછો અને કાર્યો ઝાઝા છે. પ્રથમ તો તેમણે કાર્યકારી પ્રુમખ હાર્દિક પટેલ સાથે સાયુજ્ય સાધીને કોંગ્રેસને સંગઠનને નવેસરથી બેઠું કરવાની કપરી જવાબદારી આવી છે. સંગઠન મજબૂત થશે તો તેનો ફાયદો કોંગ્રેસ અને ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોને જ થવાનો છે. હાલ કોંગ્રેસની સ્થિતિ અત્યંત કફોડી, બલ્કે એવું કહી શકાય કે મૃત:પ્રાય જેવી થઈ ગઈ છે. જગદીશ ઠાકોરને ગુજરાતના કાર્યકરો ઓળખે છે અને તેઓ સિનિયર મોસ્ટ નેતા છે.
આવનાર સમયમાં ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટાપાયા પર ફેરફાર કરવામાં આવશે એ નિશ્ચિત છે અને જ્યાં જ્યાં કાર્યકારી પ્રમુખ તરીકે ગાડું હાંકવામાં આવે છે ત્યાં ત્યાં કાયમી પ્રમુખ બનાવવામાં આવે તે નક્કી છે.
બીજી તરફ નવા વરાયેલા વિપક્ષી નેતા સુખરામ રાઠવા આમ તો મોહનસિંહ રાઠવા વેવાઈ થાય છે. છોટાઉદેપુરના રાજકારણમાં રાઠવા પરિવારનું વજન છે ત્યારે સુખરામ રાઠવા માટે પણ આદિવાસી પટ્ટી પર કોંગ્રેસને બેઠી કરવાની કપરી જવાબદારી આવી ગઈ છે.