Rahul Gandhi: ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે સુરેન્દ્રન રાહુલ સામે ચૂંટણી મેદાનમાં છે. સ્મૃતિ ઈરાની આવતીકાલે એટલે કે 4 એપ્રિલે બીજેપી ઉમેદવારના સમર્થનમાં એક મોટો રોડ શો કરશે.
કોંગ્રેસ સાંસદ અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે કેરળના વાયનાડમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે. આ પહેલા રાહુલ ગાંધી આ વિસ્તારમાં રોડ શો કરશે. ઉલ્લેખનીય છે કે ગત ચૂંટણીમાં રાહુલ ગાંધીએ અહીંથી લગભગ 5 લાખ મતોના માર્જિનથી મોટી જીત મેળવી હતી.
રાહુલ ગાંધી માટે આ વખતે વાયનાડથી ચૂંટણી આસાન નથી.
સીપીઆઈના મહાસચિવ ડી રાજાની પત્ની એની રાજા આ ચૂંટણીમાં રાહુલની સામે છે. પાર્ટીએ તેમને વાયનાડથી ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. બીજેપીના પ્રદેશ અધ્યક્ષ કે સુરેન્દ્રન ભાજપ તરફથી રાહુલ સામે મેદાનમાં ઉતરશે. આ ત્રણેય મજબૂત નેતા છે, આથી આ બેઠક પર જોરદાર ટક્કર થશે તેવું માનવામાં આવી રહ્યું છે. જો કે, રાહુલ ગાંધી આ બંને કરતા મોટો ચહેરો છે અને આ બેઠક પરથી વર્તમાન સાંસદ પણ છે.
ફિલ્ડમાં કામ ન કરવાનો આરોપ
ભાજપમાંથી મેદાનમાં ઉતરેલા સુરેન્દ્રને રાહુલ ગાંધી પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, તે સારી વાત છે કે રાહુલ ગાંધી આખરે નામાંકન ભરવા માટે વાયનાડ આવી રહ્યા છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે મતવિસ્તારમાં કોઈ કામ થયું નથી. દરમિયાન, કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને પણ ઈન્ડિયા બ્લોક પાર્ટી સીપીઆઈના એની રાજા સામે ચૂંટણી લડવા બદલ રાહુલ ગાંધીની ટીકા કરી છે.
સ્મૃતિ ઈરાનીનો રોડ શો
સ્મૃતિ ઈરાનીની મુલાકાતને વાયનાડમાં રાહુલ વિરુદ્ધ બીજેપીના શંખ નાદની શરૂઆત માનવામાં આવી રહી છે. અગાઉ રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડતા હતા અને જીતતા હતા. પરંતુ 2014માં ભાજપે અમેઠીથી સ્મૃતિ ઈરાનીને મેદાનમાં ઉતાર્યા હતા. જોકે ઈરાની આ ચૂંટણી હારી ગયા હતા. પરંતુ તેણીએ પોતાની જાતને અમેઠીથી દૂર ન કરી અને અમેઠીના લોકો સાથે સતત સંપર્કમાં રહી. 2019ની લોકસભા ચૂંટણીમાં ઈરાનીનો દાવો મજબૂત માનવામાં આવી રહ્યો હતો. તેથી રાહુલ ગાંધીએ પણ 2019માં વાયનાડથી ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે ચૂંટણી પરિણામો આવ્યા ત્યારે ઈરાની અમેઠીથી જીતી ગયા અને રાહુલને અહીંથી હારનો સામનો કરવો પડ્યો. જો કે રાહુલ વાયનાડમાં મોટી જીત મેળવી અને અહીંથી સાંસદ બન્યા.
આ દિવસે વાયનાડમાં મતદાન થશે
વાયનાડમાં બીજા તબક્કામાં મતદાન થવાનું છે. ત્યાં 26મી એપ્રિલે મતદાન થશે. ગત ચૂંટણીમાં રાહુલ ગાંધીએ સીપીઆઈના પીપી સુનીર સામે ચૂંટણી લડી હતી. જો કે રાહુલ ગાંધી અહીં લગભગ 5 લાખ મતોથી જીત્યા હતા. આ વખતે તેમનો મુકાબલો ભાજપના કે સુરેન્દ્રન સાથે છે. હાલ તેઓ કેરળ ભાજપના અધ્યક્ષ છે. રસપ્રદ વાત એ છે કે તેમણે તેમના રાજકારણની શરૂઆત ભારતીય જનતા યુવા મોરચાના વાયનાડ જિલ્લા અધ્યક્ષ તરીકે કરી હતી. ગત લોકસભા ચૂંટણીમાં કે સુરેન્દ્રન પથનમથિટ્ટાથી ચૂંટણી લડ્યા હતા, જો કે તેમને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.