દેશમાં ફરી એક વખત કોરોના વાયરસના દરદીઓ વધી રહ્યા છે. બોલીવૂડમાં પણ રોજ કોરોનાના નવા કેસ આવી રહ્યા છે. તારા સુતારિયા, રણબીર કપૂર, મનોજ બાજપેયી, સંજય લીલા ભણશાલી તેમજ અન્યો કોરોનાના સપાટામાં આવી ગયા છે. હવે આ યાદીમાં વધુ એક નામ પણ ઉમેરાયું છે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના દિગ્ગજ દિગ્ગજ આમિર ખાનના ચાહકોની યાદી ઘણી લાંબી છે. ચાહકો આતુરતાથી આમિરની ફિલ્મોની રાહ જુએ છે. અભિનેતા આજકાલ તેની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાના કારણે ચર્ચામાં છે. પરંતુ હવે આમિર વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે, જે ચાહકોને ચોંકાવી દેશે. એક રિપોર્ટ મુજબ આમિર ખાન કોરોનાનો શિકાર બની ગયો છે અને તે હાલ હોમ ક્વોરન્ટાઇન છે.
ચાહકો લાંબા સમયથી મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનને સ્ક્રીન પર જોવા માટે ઉત્સુક છે. ઠગ્સ ઑફ હિંદુસ્તાન બાદથી ચાહકોને આમિર પડદા પર જોવા નથી મળ્યા. આવી સ્થિતિમાં અભિનેતાનું એક ગીત તાજેતરમાં રિલીઝ થયું છે, જેને ચાહકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.
એક રિપોર્ટ મુજબ આમિર ખાન કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આમિરે કોરોના ટેસ્ટ કરાવ્યો છે, જે પોઝિટિવ આવ્યા બાદ તે હોમ ક્વોરન્ટાઇન થઇ ગયો છે. આમિર કોરોના પોઝિટિવ હોવાને કારણે તેનું કામ પણ અટકી ગયું છે. તે સંપૂર્ણ સ્વસ્થ થયા પછી, તે ફરીથી લાલ સિંહ ચઢ્ઢા માટે શૂટિંગ શરૂ કરશે.
આમિર ખાને રવિવારે પોતાનો ૫૬મો જન્મદિવસ ઊજવ્યો હતો. તેના બીજા દિવસે એટલે કે સોમવારે તેણે સોશિયલ મીડિયાને અલવિદા કહી દીધું છે. તેણે પોતાના પ્રશંસકોને જન્મદિવસની શુભેચ્છા માટે આભાર દર્શાવાની સાથે સોશિયલ મીડિયાને અલવિદા કહીને અન્ય એક માધ્યમ દ્વારા જોડાવાની ખાતરી આપી છે.